Monday, August 28, 2006

મિચ્છામિ દુક્કડમ


વ્હાલા વાંચકમિત્રો

સંવત્સરી પ્રતિકમણ કર્યા બાદ સર્વે જીવોને ખમાવવાની સાથે આપ સૌને પણ ખમાવુ છુ.

મિચ્છામિ દુક્કડમ

સિદ્ધાર્થ

Sunday, August 27, 2006

ગણેશ ચતુર્થી

ગણપતિબાપા ...મોરિયા

આજે ગણેશ ચતુર્થીનો સુંદર દિવસ છે. વિઘ્નહર્તા શ્રી ગણેશનો આજે જન્મ દિવસ...સમગ્ર ભારતમાં ધામધૂમથી ઉજવાય છે. માદરે વતનથી હજારો માઈલ દૂર આ દિવસ કઈ કેટલીય યાદો આંખોની સામે ફિલ્મની પટ્ટીની જેમ લઈ આવે છે.


મને યાદ છે અમે જ્યારે નાના હતા ત્યારે ગણેશ ચતુર્થી અને સંવત્સરી મોટા ભાગે એક જ દિવસે આવે. આ વખતે એક દિવસનો ફેર છે. સંવત્સરી પ્રતિકમણ કર્યા બાદ ઘરે પહોચતા તો કેટલીય સવારીઓ પૂજ્ય ગણેશ ભગવાનની રસ્તા પરથી પસાર થાય...લોકો આનંદમાં નાચતા હોય...સુંદર મજાની મૂર્તિઓ હોય અને દરેક વિસ્તારના યુવક મંડળો વચ્ચે મૂર્તિના કદ અને ડેકોરેશનની હરિફાઈ જામી હોય એવુ લાગે.
રાતે લગભગ દરેક સોસાયટીમાં જાહેરમાં હિન્દી ફિલ્મોનું પ્રદર્શન થાય. મે પોતે ઘણી બધી ફિલ્મો આવી રીતે મિત્રવર્તુળમાં રોડ ઉપર ઊભા રહીને જોઈ છે. આજે ઘણુ બધુ બદલાઈ ગયુ છે પરંતુ ઉત્સવોનો આનંદ વતનમાં આવે એવો તો બીજે ક્યાય આવતો નથી.

આ બ્લોગના દેશ વિદેશમાં વસતા વાંચકોને ગણેશ ચતુર્થી નિમિતે ઘણી જ શુભેચ્છાઓ .... આ પર્વ દરમ્યાન તમારો સમય સરસ મજાની ભક્તિમાં પસાર થાય એવી જ આશા અને સાથે જ આ પર્વ કોઈપણ પ્રકારના કોમી દાવાનળથી અસર ના પામે એવી શુભેચ્છા...

શકય હોય તો તમારા વિસ્તારના ગણેશ સ્થાપનની મૂર્તિની તસ્વીર sidshah70@gmail.com પર મોકલી આપશો તો હુ જરૂરથી પ્રસિદ્ધ કરીશ.

સિદ્ધાર્થ

Saturday, August 26, 2006

શરણાઈવાળો

એક શરણાઈવાળો સાત વર્ષ સુધી શીખી,
રાગરાગણી વગાડવામાં વખણાણો છે.
એકને જ જાચું એવી ટેવ છેક રાખી,
એક શેઠને રિઝાવી મોજ લેવાને મંડાણો છે.

કહે દલપતરામ પછી બોલ્યો તે કંજૂસ શેઠ,
"ગાયક ન લાયક તું ફોગટ ફુલાણો છે,
પોલું છે તે બોલ્યું તેમાં કરી તેં શી કારીગરી ?
સાંબેલું બજાવે તો હું જાણું કે તું શાણો છે."

-દલપતરામ

Tuesday, August 15, 2006


વ્હાલા વાંચકમિત્રો,

આજના સ્વતંત્રતા દિવસનાં અવસરે તમને મારી ઘણી ઘણી જ શુભેચ્છાઓ.

આશા રાખીએ કે ઉતરોતર ભારત પ્રગતિ કરે અને સાથે સાથે તેમના નાગરિકો પણ ખરા અર્થમાં પ્રગતિ કરે. આવનારા દિવસોમાં સહિયારા પ્રયત્નોથી આંતરિક, આંતરરાષ્ટ્રિય અને કુદરતી તકલીફો સામે લડવાની સંપૂર્ણ શક્તિ પ્રાપ્ત કરે એ જ આશા.

સિદ્ધાર્થ શાહ

Thursday, July 20, 2006

ધીંગાણુ

બાપુનાં ગઢમાં બધી જણસ છે, બે વાતની ખોટ છેં
પહેલું તો કે' યુદ્ધ થાય નહીં, બીજું ફાટલો કોટ છે.
શિરોહી તલવારનું લટકવું વર્ષોજૂનું ખીંટીએ
ને ફાટ્યો છે કોટ કાળબળથી આડીઊભી લીંટીએ

બાપુ કહેતા : 'નોતરાં દઈ દઉં દેમાર બારોટને
શત્રુ મારું - એમ આજ બખિયા મારી દઉં કોટને'
દોરાસોતી સોયથી પલકમાં દારુણ હલ્લો કર્યોને
બાપુએ કોટને કસબથી કાતિલ ટેભો ભર્યો

ત્યાં તો 'લોહી' એમ ચીસ સહસા પાડી ઊઠી આંગળી
ને બાપુના ટેરવે રગતની શેડ્યું ફૂટી નીકળી
'ખમ્મા, ખમ્મા બાપ...' એમ કહીને બાપુ કરે હાકલા
ખીંટીથી તલવારને લઈ કરે લોહી વડે ચાંદલા

થાતું બાપુને : બહુ શુકનવંતો આપણો કોટ છે
કિંતુ એક જ ખોટ, આજ અહીં ના એક્કેય બારોટ છે.

-રમેશ પારેખ (Ramesh Parekh)

Sunday, July 09, 2006

કહેજોજી રામ રામ

સૂરજદાદાને મારા કહેજોજી રામ રામ,
રામ રામ કહેજો ને આટલું વળી કહેજો,
કે વ્હેલો ઊઠ્યો છું પરોઢમાં.

ફૂલડાંરાણીને મારા કહેજોજી રામ રામ,
રામ રામ કહેજો ને આટલું વળી કહેજો,
કે રસ્તા વાળ્યા છે મેં એમના.

કોયલબે'નીને મારા કહેજોજી રામ રામ,
રામ રામ કહેજો ને આટલું વળી કહેજો,
કે મેં તો ગોખ્યું છે ગીત તાહરું.

પીળા પતંગિયાને કહેજોજી રામ રામ,
રામ રામ કહેજો ને આટલું વળી કહેજો,
કે વીણવા જવા છે રંગ સાંજના.

ચાંદામામાને મારા કહેજોજી રામ રામ,
રામ રામ કહેજો ને આટલું વળી કહેજો,
કે હોડીને છોડવી પાતાળમાં.

નીંદરમાસીને કહેજોજી રામ રામ,
રામ રામ કહેજો ને આટલું વળી કહેજો,
કે આવે વ્હેલીક જરા આજ તો.

-સુન્દરમ ( રંગ રંગ વાદળિયા) (Sundaram)

Saturday, July 08, 2006

મધ્યાહન

આ સોનેટૅમાં કવિએ મધ્યાહનની સ્તબ્ધતા અને મૂર્છામુક્તિ બન્નેને વર્ણવી છે. પ્રથમ આઠ પંક્તિઓમાં કવિએ મધ્યાહનનો નિરગ્નિ દવ સુપેરે દર્શાવ્યો છે. ક્ષિતિજ એમને હાંફતી લાગે છે. મધ્યાહનની છટા એમને ઘોર અવધૂતની છટા જેવી લાગે છે. વૃક્ષની છાયા સૂરજ માથે આવ્યો હોવાને કારણે વિલાઈ ગઈ છે. પણ એવુ સાચકલુ કારણ આપે તો કવિ શેના ? તેઓ તો કહે છે કે ભયને કારણે છાયા દૂબળી થઈ ગઈ છે. પવન તેમેને ભભૂકતા ભડકા જેવો લાગ્યો છે. તેમાં સમસ્ત લીલોતરી બળી ગઈ છે. ઝરણનાં મૂંગાં ઝાંઝરાંને છણછણી ઊઠતાં સાંભળતા કવિનાં કાન કેવા સરવા હશે ! અંતિમ છ પંક્તિઓમાં કવિએ સહસા ઊઠેલો વંટોળિયો અને તેની પાછળ દોડતો ભોળિયો ખર બન્નેની ગતિ દર્શાવી છે. અને સાથેસાથે હોંચીહોંચીનો શ્રવણ-લાભ પણ અપાવ્યો છે. મૂર્છિત અવનીને સજીવન કરનાર ગર્દભનો જાણે કવિએ 'હાશ!'ઉદગાર દ્વારા આભાર માન્યો છે.

હતી ક્ષિતિજ હાંફતી, પ્રખર ધોમ ધખતો હતો.
અઘોર અવધૂત શી હતી છટા જ મધ્યાહનની.
વિલાઈ ભય દૂબળી નહિશી છાંયડે સૌ બની.
અને અખિલ રોમરોમ અવકાશ બળતો હતો.
હતો પવન એહ ? કે ભભૂકતો શું ભડકો હતો ?
ઝળેળી ઊઠતાં અરણ્ય તરુઝુંડ ને ઝાંખરાં,
જરી છણછણી ઊઠ્યાં ઝરણનાં મૂંગાં ઝાંઝરાં,
નિરગ્નિ દવ સૃષ્ટિને પટ અફાટ ભમતો હતો.
હતું સકલ શાન્ત, છાતી મહીં મેંય નિ:શ્વાસ તો
હતો દીધ દબાવી, ત્યાં લઘુક એક વંટોળિયો
ઊઠ્યો કહીંથી ને પૂંઠે પકડવા જ જાણે જતો
ન હોય ત્યમ, વાડ પાછળથી કોઈ ખર ભોળિયો
પડ્યો સૂકલ ખેતરે ગજબ હોંચીહોંચી કરી.
સજીવ થઈ સૃષ્ટિ હાશ ! અવનીની મૂર્છા સરી.

-ઉમાશંકર જોશી ("આતિથ્ય"માંથી) (Umashankar Joshi)

Monday, June 19, 2006

જો હોય

આવી જ એક ક્ષણ હોય,
સામે અષાઢઘન હોય;

ફણગો ફૂટે અડકતાં જ
ભીનોભીનો પવન હોય;

જે તે ચણ્યું ગમે ના,
કાચું પીમળતું વન હોય;

ઊગી જવાય વાડે
જો આ ક્ષણે વતન હોય;

જામીય જાય મૂળિયાં
જો થોડુ બાળપણ હોય;

સિમેન્ટમાં ઢૂં ઢૂં છું :
એકાદ મિટ્ટીકણ હોય;

ઠરવા ચહે છે આંખો
હરિયાળું ક્યાંક તૃણ હોય;

બોલાવે ઘેર સાંજે
બાના સમુ સ્વજન હોય.

-ઉશનસ્ (Ushnash)

શ્રી ગુલાબદાસ બ્રોકરનું અવસાન

જાણીતા સાહિત્યકાર અને ટૂકીવાર્તાના ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન આપનાર શ્રી ગુલાબદાસ બ્રોકરનું પૂણે ખાતે નિધન થયુ છે. તેઓ 97 વર્ષનાં હતા. એમની વાર્તાઓમાં માનવીના મનનું કલામય આલેખન સરળ અને સુંદર રીતે થયેલ છે. છેલ્લી વાર મારી ભારતની મુલાકાત દરમ્યાન તેમની ટૂંકીવાર્તાઓનું પુસ્તક મને મળેલ જે એક જ બેઠકે વાંચી ગયેલ. તેઓની વાર્તાઓ ખરેખર જકડી રાખે તેવી અને સંવેદનાથી ભરપૂર છે.


આ ગુજરાતીબ્લોગ તરફથી તેઓને અંતરમનથી શ્રધ્ધાંજલિ અર્પણ.

સિદ્ધાર્થ

Thursday, June 15, 2006

આભાર...

વાંચક મિત્રો,

ઘણા લાંબા સમયનો વિરામ પડી ગયો. ડોક્ટર પણ ક્યારેક બિમાર પડી જતા હોય છે અને એમા મારો આ વખતે સમાવેશ થઈ ગયો. પરમ કૃપાળુ પરમાત્માની કૃપાથી અને મિત્રો અને શુભેચ્છકોની શુભેચ્છાઓથી પાછો સ્વસ્થ થઈ ગયો છું અને ફરીથી આ ગુજરાતી બ્લોગને સિંચવાનુ કામ ચાલુ કરી દઈશ. આ સમય દરમ્યાન ઘણી બધી ઈ મેઈલ્સ મળી જેનો સમય અને શક્તિ મળતા શાંતિથી પ્રત્યુતર આપીશ પરંતુ અત્રે બધાનો અંતકરણ પૂર્વક આભાર...

આજ રીતે તમારો સાથ આપતા રહેશો.

સિદ્ધાર્થ

Friday, June 02, 2006

જ્યારે વિધાતાએ દીકરી ઘડી

વિધાતાએ દીકરી ઘડીને, ત્યારે ખૂબ ખાંતે
કસબી હાથેથી એણે કરી કમાલ!
રૂપનો અંબાર કરું, મીઠપ અપાર ભરું
ખજીનો ખૂટાડી કરું ખલકને ન્યાલ.

દેવીયું કનેથી માંગી લીધો મલકાટ
અને મધરાતે માપી સીમાડા સુદૂર
ચપટીક રજ લીધી નખેતર તણી
અને દીકરીના આંખે ભર્યાં દમકતાં નૂર

સાકરને લઈને સવાદ એણે દીકરીમાં
તજને લવિંગ વળી ભેળવ્યાં જરીક,
સૂરજનાં ધોળાં ફૂલ હાસને હુલાસ દીધાં
જોઈ કારવીને કીધું, હવે કાંક ઠીક.

વિધાતાએ દીકરી ઘડીને વળી જોઈ જોઈ
વારે વારે હસું હસું થાય એનું મુખ

હૈયે એને હાશ, હર માવતર કાજે ધર્યું
હર્યુંભર્યું હેત, નર્યું નીતર્યું આ સુખ

-અજ્ઞાત અંગ્રેજ કવિની કવિતાનો અનુવાદ મંકરદ દવે દ્ધારા ("દીકરી વ્હાલનો દરિયો" માંથી સાભાર)
gujarati blog

Sunday, May 28, 2006

મા બાપને ભૂલશો નહિ

હમણા "મધર્સ ડે" ગયો...માર્કેટિંગનાં ખેરખા એવા આ દેશમાં લાગણીનો મોટો ધંધો થઈ ગયો છે અને જીંદગી એવી થઈ ગઈ છે કે મા બાપને યાદ કરવા કે તેમની સાથે સમય વિતાવવા માટે સમય નથી, તેથી આવા "મધર્સ ડે" અને "ફાધર્સ ડે"નાં દિવસોએ એક સરસ મજાનું કાર્ડ કે પછી ફૂલનો ગુલદસ્તો અથવા તો પછી એક સાંજ માટે ફેમીલી સાથે ડીનર લઈને પોતાની માબાપ પ્રત્યેની જવાબદારી પૂરી થયાનો આજનો સંતાન આનંદ માણે છે. પરંતુ હકિકત એ છે કે તેઓને તમારા પળ બે પળ સાથ સંગાથની જરૂર નથી તેમને જરૂર છે તમારી લાગણીની...તમારી હૂંફની

આ સુંદર મજાની આંખો ખોલાવી નાખતી રચના વાંચીને તમે આંતરખોજ કરજો કે તમે મા-બાપને જીંદગીની ઘટમાળમાં ભૂલી તો નથી ગયાને....આ રચના વાંચીને કદાચ એક પણ બાળક તેમના મા-બાપને પ્રેમથી યાદ કરીને બોલાવશે તો આ પ્રયત્ન સાર્થક ગણાશે.

સિદ્ધાર્થ


મા બાપને ભૂલશો નહિ


ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ
અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહિ

પથ્થર પૂજ્યા પૃથ્વી તણા, ત્યારે દીઠું તમ મુખડું
એ પુનિત જનનાં કાળજાં, પથ્થર બની છુંદશો નહિ

કાઢી મુખેથી કોળીયા, મ્હોંમાં દઈ મોટા કર્યા
અમૃત તણાં દેનાર સામે, ઝેર ઉગળશો નહિ

લાખો લડાવ્યાં લાડ તમને, કોડ સૌ પુરા કર્યા
એ કોડના પુરનારના, કોડને ભૂલશો નહિ

લાખો કમાતા હો ભલે, મા બાપ જેથી ના ઠર્યા
એ લાખ નહિં પણ રાખ છે, એ માનવું ભૂલશો નહિ

સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો
જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહિ

ભીને સૂઈ પોતે અને, સુકે સુવડાવ્યા આપને
એ અમીમય આંખને, ભૂલીને ભીંજવશો નહિ

પુષ્પો બિછાવ્યાં પ્રેમથી, જેણે તમારા રાહ પર
એ રાહબરના રાહ પર, કંટક કદી બનશો નહિ

ધન ખરચતાં મળશે બધું, માતા પિતા મળશે નહિ
પલ પલ પુનિત એ ચરણની, ચાહના ભૂલશો નહિ.

-સંત પુનિત (Sant Punit)



gujarati blog




Wednesday, May 24, 2006

ઓ નીલગગનનાં પંખેરું....

આ ગીત મને ખૂબ જ ગમે છે, મુકેશના કંઠે પહેલીવાર સાંભળ્યુ હતું. કદાચ ગુજરાતી ચિત્રપટનું ગીત છે. વાંચકો વધુ માહિતિ હોય તો જરૂરથી મોકલાવશો. કર્તાનું નામ મને ખબર નથી તેથી લખ્યુ નથી, જાણકાર વાંચકો આ ગીત વિશે વધુ માહિતિ આપશે તો ઘણૉ જ આનંદ થશે.

સિદ્ધાર્થ


ઓ નીલ ગગનનાં પંખેરું
તુ કાં નવ પાછો આવે
મને તારી
ઓ મને તારી યાદ સતાવે

ઓ નીલગગનનાં પંખેરુ

સાથે રમતા સાથે ભમતાં
સાથે નાવલડીમાં તરતાં
એક દરિયાનું મોજુ આવ્યું
વાર ન લાગી આવી તુજને સરતાં
આજ લગી તારી વાટ જોવુ છું
તારો કોઈ સંદેશો ના આવે...
મને તારી...(2)

ઓ નીલગગનનાં પંખેરુ

તારા વિના ઓ જીવનસાથી
જીવન સૂનું સૂનું ભાસે
પાંખો પામી ઊડી ગયો તું,
જઈ બેઠો તું ઊંચે આકાશે
કેમ કરી હું આવુ તારી પાસે...(2)
મને કોઈ ના માર્ગ બતાવે...(2)
મને તારી
ઓ મને તારી યાદ સતાવે

ઓ નીલગગનનાં પંખેરું....

મોરલા સમ વાટલડી જોઉં
ઓ રે મેહુલા તારી
વિનવુ વારંવાર તુને
તુ સાંભળી લે વિનંતિ મારી
તારી પાસે છે સાધન સૌએ

તુ કા નવ મને બોલાવે ...(2)
મને તારી યાદ સતાવે...(2)


ઓ નીલગગનનાં પંખેરું....

આ ગીત સાંભળવા અહિ ક્લીક કરો

gujarati blog







Wednesday, May 17, 2006

કવિ શ્રી રમેશ પારેખ

રાજકોટમાં જ્યારે રમેશ પારેખ કાવ્યપર્વ યોજાયુ ત્યારે કવિ શ્રી અરવિંદ ભટ્ટે નીચેનુ કાવ્ય રજૂ કરેલ જેમા રમેશ પારેખ અમરેલી છોડીને રાજકોટ સ્થાયી થવાનો નિર્ણય લીધો તેનો ઉલ્લેખ હતો.

બોલ અમરેલી તને કેવુ-કેવુ થાય
રમેશ પારેખ આજે તને છોડી-છોડી જાય
ર.પા. તારા આંગણાનો છોડ
તેને જોઈ જોઈ તને ઉગ્યા કરે કોડ
આથમે તું ત્યારે અહી ઉગતો રમેશ

આજ કવિતા આજના સંદર્ભમાં લઈએ તો

બોલ આ દુનિયા તને કેવુ-કેવુ થાય
રમેશ પારેખ આજે તને છોડી-છોડી જાય
ર.પા. તારા આંગણાનો છોડ
તેને જોઈ જોઈ તને ઉગ્યા કરે કોડ
આથમે તું ત્યારે અહી(ગુજરાતી સાહિત્ય જગતમાં)
હમેશ ઉગતો રમેશ


સાચે જ રમેશ પારેખ તેમની રચનાઓ દ્ધારા ગુજરાતી સાહિત્ય જગતમાં તો અમરત્વને પામી જ ચૂક્યા છે.

સિદ્ધાર્થ

gujarati blog

કવિ શ્રી રમેશ પારેખનું અવસાન

આજે સવારે ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય કવિ શ્રી રમેશ પારેખ નું હૃદયરોગના હુમલાથી અવસાન થયું છે. આ બ્લોગના વાંચકો તદઉપરાંત ગુજરાતી કવિતામાં રસ ધરાવતા રસિકો માટે અંત્યત આઘાતનાં સમાચાર છે. લાગણીઓને શબ્દોમાં વણી લેવાની તેમની એક અનોખી વિશિષ્ટતા હતી. આ બ્લોગનાં કર્તા અને વાંચકો તરફથી "છ અક્ષરનું નામ"નાં રચયિતાને અશ્રુભીની શ્રદ્ધાજંલિ. શ્રી રમેશ પારેખના અવસાનથી ગુજરાતી સાહિત્ય જગતને ન પૂરાય તેવી ખોટ પડી છે અને સદગતના આત્માને પ્રભુ શાંતિ આપે એ જ પ્રાર્થના....

સિદ્ધાર્થ શાહ

Monday, May 15, 2006

Important tip

Dear fellow gujarati bloggers,

It is a matter of great pride that gujarati blog world is spreading its wings and more and more people are coming in and sharing their knowledge, experiences and love for literature in Gujarati. I just came across a situation which I am sure lots of you must have come across and while researching it further I found the solution. So I am posting the solution here. I hope it helps.

When you create a blog in Gujarati most of the time in Internet Explorer it looks fine but in firefox or some other browser it may look different and non-readable. I am providing sample below.



To avoid this, please go to the template and in the stylesheet section of the code make sure your text is aligned to left. Also when you create a post make sure it is not set to "justify" but set to "left aligned". I hope this is not too technical. I invite other fellow bloggers to simplify it. Most of the time when you try to justify the text it is ok for English but gujarati unicode are not set up for "justify"

I hope this little tip will certainly help the look of your site and make life for gujarati readers much more fun.

regards,

Siddharth

Saturday, May 13, 2006

રમૂજી ગીત

ઈન્ટરનેટ એક ગજબની વસ્તુ છે. ઘણીવાર એવુ મળી જાય છે કે તમારાજ્ઞાનમાં વધારો કરે અને ઘણીવાર તમારૂ હસાવી હસાવીને પેટ દુખાડી દે. આજે નેટ પર ફરતા ફરતા કોઈ ઉભરતા ગાયકે પોતાની સૂવાની આદત પર ગીત ગાયુ છે જે તમે સાંભળીને હસવાનું રોકી નહિ શકો.

સાંભળવા માટે અહિ ક્લીક કરો.


સિદ્ધાર્થ

Friday, May 12, 2006

પનઘટની વાંટે


તને જાતા જોઈ પનઘટની વાટે
મારૂ મન મોહી ગયુ,

તારા રૂપાળા ગોરા ગોરા ઘાટે,
મારૂ મન મોહી ગયુ,

કેડે કંદોરોને કોટમાં દોરો
તારા લહેરિયાની લાલ લાલ ભાતે,
મારૂ મન મોહી ગયુ,

રાસે રમતી આંખને ગમતી
પૂનમની રઢિયાળી રાતે,
મારૂ મન મોહી ગયુ,

બેંડલુ માઠે ને મહેંદી ભરી હાથે
તારી ગાગરની છલકાતી છાંટે,
મારૂ મન મોહી ગયુ,

તને જાતા જોઈ પનઘટની વાટે
મારૂ મન મોહી ગયુ,


-અવિનાશ વ્યાસ (Avinash Vyas)

Wednesday, May 10, 2006

આ કોની મનોરમ દ્ધષ્ટિથી

આ બ્લોગ વાંચતા વાંચકોને અંદાજ હશે જ કે પ્રકૃતિગાન કરતી કવિતાઓ મારી પ્રિય છે અને સમયાંતરે હુ આ પ્રકારની કવિતાઓ રજૂ કરવાનો મોકો શોધતો જ હોઉ છું. આજે ગની દહિવાળાની આ સુંદર કવિતા રજૂ કરૂ છું જે વાંચીને એક સુંદર હિન્દી ગીત "યે કોન ચિત્રકાર હે, યે કોન ચિત્રકાર હે" યાદ આવી જાય છે.

સિદ્ધાર્થ

-------------------------------------------------------------------------------------

આ કોની મનોરમ દ્ધષ્ટિથી આકાશનું અંતર ભીંજાણું ?
ધરતીને જતનથી ઓઢેલું નવલું નીલામ્બર ભીંજાણુ ?



આ ઈંદ્ધધનુની પિચકારી કાં સપ્તરંગમાં ઝબકોળી ?
ફાગણ નહિ આ તો શ્રાવણ છે, એમાં રમી લીધી હોળી?


છંટાઈ ગયા ખુદ, વ્યોમ સ્મું ધરતીનું કલેવર ભીંજાણું,
ધરતીએ જતનથી ઓઢેલું નવલું નીલામ્બર ભીંજાણું,


કાળી કાળી જલપરીઓની આંખોમાં વીજના ચમકારા,
ત્યાં દૂર ક્ષિતિજે દેખાતા આ કોની આંખના અણસારા ?


શી હર્ષાની હેલી કે, ધરતીનું કલેવર ભીંજાણું,
ધરતીએ જતનથી ઓઢેલું નવલું નીલામ્બર ભીંજાણું,

આરસભીની એકલતામાં સાંનિધ્યનો સાંજે સંભવ છે,
ફોરાંની મૃદુ પાયલ સાથે આ કોનો મંજુલ પદરવ છે?

આનંદના ઉઘડ્યા દરવાજા, ધરતીનું કલેવર ભીંજાણું,
ધરતીએ જતનથી ઓઢેલું નવલું નીલામ્બર ભીંજાણું,


-ગની દહીંવાળા (Gani Dahiwala)

Saturday, May 06, 2006

આમ તો

આજે હેતલભાઈના નવો ગુજરાતી બ્લોગ ધ્યાનમાં આવ્યો અને તેમના બ્લોગ પર રજૂ થયેલ આ કવિતા અત્રે પ્રસ્તૂત કરવાની ઈચ્છા રોકી શક્યો નથી.



સિદ્ધાર્થ
--------------------------------------------------------------------------------------------

આમ તો ખૂબ સહેલી વાત છે જળથી ભીના થવું
પણ
ધોધમાર આષાઢને દિવસે
અનેક લોકો વસ્ત્ર સાચવતા છત નીચે ઊભા રહે ત્યારે
માર્ગ ઉપરથી બધીયે આંખોને વટાવી
ભીના થતાંથતાં ચાલી જવું
થોડીક હિંમત માગી લે છે.

આમ તો ખૂબ સહેલું છે એક ફુલને હાથમાં રમાડવું
પણ
રવિવારની સાંજે બાગમાં ગપ્પાં મારતાં લોકો બેઠા હોય ત્યારે
એક ફુલની પાંખડી સાથે અંગત વાતો કરવી
થોડીક હિંમત માગી લે છે.

બાળક સાથે રમવું એ કંઈ મોટી વાત નથી.
પણ
આપણા નામની આસપાસ
કીર્તિનું સોનું ગૂંથાઈ જાય પછી
ફરી પાછા નાનકડા થઈ રમતમાં ભૂલા પડવું
થોડીક હિંમત માગી લે છે.

આમ તો સહેલી છે મૃત્યની વાતો કરવી વિરકત થઈને
પણ
રાત્રિની સ્તબ્ધતામાં એના આગમનના પડઘા
આપણા ઘર ભણી આવતા લાગે તે પછી પણ
હસતાં રહેવુંથોડીક હિંમત માગી લે છે.

-વિપિન પરીખ (Vipin Parikh)