Showing posts with label પછી. Show all posts
Showing posts with label પછી. Show all posts

Wednesday, June 27, 2007

પછી

આ બ્લોગનાં વાંચકમિત્રોને ખ્યાલ હશે કે અમુક વિષયની કવિતાઓ મને ખરેખર પ્રિય છે. ક્ન્યાવિદાયની કવિતાઓ પ્રત્યે મને વિશેષ માયા છે, કારણ કે મારે એક દિકરી છે. આપણા ગુજરાતી સાહિત્યમાં કન્યાવિદાયનાં પ્રસંગને કવિઓએ ખરેખર કરૂણરસથી કાગળનાં પન્ને ઉતાર્યો છે, એમાની એક આ સુંદર રચના અત્ર પ્રસ્તૂત કરી રહ્યો છું.

સિદ્ધાર્થ




દાદાના આંગણામાં કોળેલા આંબાનું કૂણેરું તોડ્યું રે પાન,
પરદેશી પંખીનાં ઊડ્યા મુકામ પછી માળામાં ફરક્યું વેરાન !

ખોળો વાળીને હજી રમતાં'તા કાલ અહીં,
સૈયરના દાવ ન'તા ઊતર્યા;

સૈયરનાપકડીને હાથ ફર્યા ફેર-ફેર -
ફેર હજી એય ન'તા ઊતર્યા;

આમ પાનેતર પહેર્યુને ઘૂંઘટમાં ડોકાયું
જોબનનું થનગનતું ગાન !

દાદાના આંગણામાં કોળેલા આંબાનું કૂણેરું તોડ્યું રે પાન,

આંગળીએ વળગેલાં સંભાર્યા બાળપણાં,
પોઢેલાં હાલરડાં જાગ્યાં;

કુંવારા દિવસોએ ચોરીમાં આવીને
ભૂલી જવાનાં વેણ માગ્યાં !

પછી હૈયામાં, કાજળમાં, સેંથામાં સંતાતુ
ચોરી ગયું રે કોક ભાન !

પરદેશી પંખીનાં ઊડ્યા મુકામ પછી માળામાં ફરક્યું વેરાન !

માધવ રામાનુજ (Madhava Ramanuj)