Friday, November 24, 2006

વાંચકમિત્રો, આજે આ કવિતા શ્રી નટવર મહેતાએ ઈ મેલ દ્ધારા મોક્લાવેલ છે, પ્રસ્તૂત કરી રહ્યો છું. શ્રી નટવરભાઈને લખવાનો અને વાંચનનો શોખ છે. તેઓની વાર્તા તિરંગામાં પણ પ્રસિદ્ધ થયેલ છે.


માંડ માંડ આજ પડ્યો થોડો તડકો
મે તો માંગી લ ઈધો એક એનો કટકો

ચાલી રહ્યો હું તો આમ વરસોથી
કોણ જાણે ક્યાં અટકશે આ સડકો

મારો પડછાયો રહેતો મારી સાથે
ને મને એ કહે તું તો બહુ બટકો

શોધો તો મળશે સનમ તમારા દિલમાં
શોધવા સનમને ન છેક આમ ભટકો

તૂટી જશે મોતી તમારા કેશૂઓમાંથી
ભીના ભીના વાળ જરા હળવેથી ઝટકો

આપ્યા કર્યા તમે તો મને ઘણા ઝખમો
હવે તો સનમ તમો સહેજ અટકો

કેમ કરીને ભૂલે તમને નટવર
એને તો યાદ છે તમારો દરેક લટકો

-નટવર મહેતા (Natvar Mehta)

Tuesday, November 14, 2006

એક વખત

એક વખત અમે એકમેકને ખૂબ પ્રેમ કરતાં.
હું ઓફિસે જતો ને એનું મોં ઢીલું થઈ જતું.
હું પાછો ફરતો ત્યારે લઈ આવતો ગજરો, વેણી ફૂલ ...
એનું ગમતું મને કબૂલ.

ને પગારને દિવસે હું એને રેશમથી વીંટીં દેતો.
સાંજ પડે કે
એનો જીવ બાલ્કનીને વળગી પડતો.
મને મોડું થઈ જતું તો એ વ્યાકુળ થતી.


ને ચિંતાથી સજળ એની આંખો મને ઠપકો દેતી.
હું અપરાધી... વ્યથિત થતો...
હવે
સાંજને ટાણે મારગ ઉપર એની નજર
પથરાઈ રહેતી નથી,
હુ
ઓફિસેથી વહેલો આવતો નથી


-વિપિન પરીખ ( Vipin Parikh)

Thursday, November 09, 2006

એક નાનુ ઘર


એક નાનુ ઘર મળે ને ગામનુ પાદર મળે
એક નાના ખાટ સાથે બસ પછી ચાદર મળે

હીંચકે બેઠા પછી પણ તને કાગળ લખું
એક એવી યાદનો ઊંચો મને દાદર મળે.

એક એવા આંગણે આવી અને ઊભો રહું,
ભાવભીની આંખથી જ્યાં આવ ને આદર મળે.

યાદનું ઝરણું વહે છે ત્યા હવે હું જાઉં છું
રાત લાંબી હોયને સપનું ભર્યું ભાદર મળે.

એક એવા વૃક્ષના છાંયા તળે બેસી શકું,
શ્વાસને ગણતો રહુંને બસ પછી નિંદર મળે

-રશ્મિન પટેલ

Sunday, October 22, 2006

શુભ દિપાવલી અને નૂતન વર્ષાભિનંદન

વ્હાલા વાંચકમિત્રો,

દિવાળી પર્વનાં સુંદર દિવસો ચાલી રહ્યા છે. તહેવારોની આ મોસમમાં અચૂક રીતે વતનની યાદ આવી જાય છે. વતનથી જોજનો દૂર વતનની યાદો આંખોની સામે અચાનક જીવંત થઈ જાય છે.

મારી બાળપણની દિવાળી મહદ અંશે ક્યા તો વડોદરામાં અથવા તો અમારા દાદાનાં ગામમાં ઉજવાતી.
દિવાળીના દિવસો નજીક આવતા જ વાતાવરણ જીવંત બની જતુ. મમ્મી સાથે ઘર અને માળીયુ સાફ કરવાની, દિવાળીનો નાસ્તો (મઠીયા, ઘૂઘરા, ફાફડા) બનતા જોવાની અને ખાવાની મજા, રંગોળીની ઓટલી બનાવવાની અને એને લીપ્યા બાદ સુંદર રંગોળી પૂરવાની, રાત્રે ઓટલા પર કોડીયાનાં દિવા કરવાની, ફટાકડા ફોડવાની મજા જ કઈક ઓર હતી. વળી ગામડે ગયા હોય તો દાદા સાથે ચોપડા પૂજન કરવાની અને ત્યારબાદ ઘરે સાલમુબારક કરવા આવતા લોકોને મળવાની એક અલગ મજા હતી.


દિવાળીના દિવસોમાં લોકો હિલ સ્ટેશન પર જવાને બદલે ઘરે જ રહેતા અને ઉમળકાથી મહેમાનોનું સ્વાગત કરતા. આજે પરિસ્થિતિ ઘણી જ બદલાઈ ગઈ છે. તૈયાર નાસ્તાઓની મોસમ આવી ગઈ છે, સ્વતંત્ર ઘરોના બદલે ફ્લેટ્સની સંખ્યા વધતા રંગોળીનાં બદ્લે સ્ટીકર લાગે છે, દિવાની જગ્યાએ ઈલેક્ટ્રીક રોશની થાય છે અને લોકો દિવાળીની રજામાં ફરવા જાય છે.

આમ છતા હું એવુ માનુ છુ કે તહેવારો ઉજવવાની મજા તો વતનમાં જ આવે....

આવા સુંદર દિવાળીના પર્વે આ બ્લોગના વતનમાં રહેતા અને વતનથી દૂર રહેતા સમગ્ર વાંચકોને મારી શુભેચ્છાઓ અને આવનારૂ નવુ વર્ષ તમારી દરેક સારી મનોકામના પૂર્ણ કરે એ જ અભ્યર્થના...

સિદ્ધાર્થ

Sunday, October 01, 2006

માતાજીની આરતી


જય આદ્યા શક્તિ મા જય આદ્યા શક્તિ
અખંડ બ્રહ્માંડ નિપજાવ્યા, પડવે પ્રકટ્યા મા ... ઓમ

દ્વિતીયા બે સ્વરૂપ, શિવ શક્તિ જાણો (2)
બ્રહ્મા ગણપતિ ગાવે, હર ગાવે હરમાં ... ઓમ

તૃતિયા ત્રણ સ્વરૂપ, ત્રિભુવનમાં સોહે (2)
જયા થકી તરવેણી સુસરવેણીમાં ... ઓમ

ચોથે ચતુરા મહાલક્ષ્મી મા, સચરાચર વ્યાપ્યા (2)
ચાર ભૂજા ચૌ દિશે, પ્રકટ્યા દક્ષિણમાં ... ઓમ

પંચમે પંચ ઋષિ, પંચમેં ગુણ સઘળાં (2)
પંચ તત્વ ત્યાં સોહીએ, પંડે સત્વોમાં ... ઓમ

ષષ્ઠી તું નારાયણી, મહિસાસુર માર્યો (2)
નર નારીના રૂપે, વ્યાપ્યાં સર્વેમાં ... ઓમ

સપ્તમી સપ્ત પાતાલ, સંધ્યા સાવિત્રિ (2)
ગૌ ગંગા ગાયત્રી, ગૌરી ગીતા મા ... ઓમ

અષ્ટમી અષ્ટ ભૂજા, ઓયે આનંદ મા (2)
સુરિ નર મુનીવર જનમ્યા, દેવ દૈત્યોમાં ... ઓમ

નવમી નવકુળ નાગ, સેવે નવદુર્ગા (2)
નવરાત્રીના પૂજન, શિવરાત્રીના અર્ચન, કીધા હર બ્રહ્મા ... ઓમ

દશમી દશ અવતાર, જય વિજયા દશમી (2)
રામે રામ રમાડ્યા, રાવણ રોળ્યો મા ... ઓમ

એકાદશી અગિયારસે, કાત્યાયની કામા (2)
કામદુર્ગા કાલિકા, શ્યામા ને રામા ... ઓમ

બારસે બાલા રૂપ, બહુચરી અંબા મા (2)
બટુક ભૈરવ સોહીએ, કાળ ભૈરવ સોહીએ, તારા છે તુજમાં ... ઓમ


તેરસે તુલજા રૂપ, તું તારૂણી માતા (2)
બ્રહ્મા વિષ્ણુ સદાશીવ, ગુણ તારા ગાતાં ... ઓમ


ચૌદશે ચૌદ રૂપ, ચંડી ચામુંડા (2)
ભાવ ભક્તિ કંઇ આપો, ચતુરાઇ કંઇ આપો, સિંહવાહીની મા ... ઓમ

પૂનમે કુંભ ભર્યો, સાંભળજો કરુણા (2)
વશિષ્ઠ દેવે વખાણ્યા, મારકંડ દેવે વખાણ્યા, ગાઇએ શુભ કવિતા ... ઓમ

સંવત સોળ સત્તાવન, સોળસે બાવીસમાં (2)
સંવત સોળે પ્રગટ્યા, રેવાને તીરે ... ઓમ


ત્રંબાવટી નગરીમાં, રૂપાવતી નગરી (2)
સોળ સહસ્ત્ર ત્યાં સોહીએ, ક્ષમા કરો ગૌરી ... ઓમ

ભાવ ન જાણું, ભક્તિ ન જાણું, નવ જાણું સેવા (2)
બાળક તારા શરણે અવિચલ પદ લેવા ... ઓમ

એ બે એક સ્વરૂપ, અંતર નવ ગણશો (2)
ભોળા ભવાનીને ભજતાં, ભવસાગર તરશો ... ઓમ

શિવશક્તિની આરતી જે કોઇ ગાશે (2)
ભણે શિવાનંદ સ્વામી, સુખ સંપત્તિ થાશે, હર કૈલાસે જાશે, મા અંબા દુઃખ હરશે ... ઓમ

("સ્વર્ગારોહણ"માંથી સાભાર)



Tuesday, September 26, 2006

જીંદગાની

આ સુંદર રચના મારા મિત્ર કેયુર ગાંધીએ મોક્લાવી છે તે બદલ તેમનો ઘણો જ આભાર....
આ રચના અતિશય ઝડપથી ગવાય છે અને તેનો અર્થ પણ સરસ છે, આશા રાખુ કે વાંચકમિત્રોને પસંદ પડશે.

સિદ્ધાર્થ


જીંદગાની નાની, એની નાની શી કહાની
મહાજ્ઞાની કહે ફાની તે થવાની
વર્ષ સો ની જીંદગાની, અડધી ઊંઘમાં જવાની
રહી અડધી તેની તો આ કહાની કહેવાની

બાલખ્યાલની નાદાની તોફાની માં ખપવાની
છાની છાની મસ્તાની જુવાની આવવાનીઅરે !
આવીને ના બેસવાની, નાચવાની, કૂદવાની
ફરવાની, મસ્તીમા મોજ મનાવવાંની

જુવાની ઓ જુવાની તુ કોઈનું નહિ માનવાની
જુવાની જવાની, જાતા લાત મારવાની
નેપછી ધીમેથી કહેવાની
હવે હુ પાછી નથી આવવાની

-અજ્ઞાત

Saturday, September 16, 2006

એક છોકરી

એક આમ છોકરી ખાસ થઈ ગઈ

જાણે મોસમનો પહેલો વરસાદ થઈ ગઈ

કોઈના દીલનો ઉજાસ થઈ ગઈ

જાણે શ્યામ કેરી રાધા થઈ ગઈ

કોકનાં વિરહમાં ઉદાસ થઈ ગઈ

ખારા ઉસ સાગરની પ્યાસ થઈ ગઈ

એક આમ છોકરી ખાસ થઈ ગઈ


-સેજલ (Sejal)

Wednesday, September 13, 2006

રસપ્રદ સમાચાર


ચિત્રલેખામાંથી સાભાર

ગીત

ગુજરાતી લીટરલી એકેડેમી ઓફ નોર્થ અમેરિકા દ્ધારા એક મેગેઝીન પ્રસિદ્ધ કરવામાં આવે છે જેની મને હમણા જ ખબર પડી. મારા પપ્પાના ખાસ મિત્ર કે જેઓ ગુજરાતી સાહિત્યમાં રસ ધરાવે છે તેઓએ મને આ મેગેઝીનની કોપી આપી અને આજે તેમાથી એક કવિતા પ્રસિદ્ધ કરી રહ્યો છુ આશા રાખુ છુ કે પસંદ પડશે.

આભનો ભૂરો રંગ ને મારા ફૂલનો લાલમલાલ
રંગની લીલા જોઈને મારાં નેણ તો ન્યાલમન્યાલ.

રાતનું વહેતું શ્યામ સરોવર
એમાં નૌકા શ્વેત,
સમજું નહીં કે ચાંદ ઊગે
કે ઊગતુ કોઈનું હેત.


આજ તો મારી સાવ સુંવાળી : લીલમલીલી કાલ,
આભનો ભૂરો રંગ ને મારા ફૂલનો લાલમલાલ.

પવન પોતે ઝાડ થઈને
ડોલતો રહે હરિયાળુ
મનમાં હવે ક્યાંય નથી કોઈ
કરોળિયાનું જાળું.

ગમતીલા ગુલાલમાં વેરે કોઈ તો વહાલમવહાલ,
આભનો ભૂરો રંગ ને મારા ફૂલનો લાલમલાલ


- પન્ના નાયક (Panna Nayak) (કાવ્યસંગ્રહ 'વિદેશિની'માંથી)

અત્રે 'દેશ વિદેશ' માંથી સાભાર

Saturday, September 09, 2006

કે. કા. શાસ્ત્રીનું અવસાન

સુપ્રસિદ્ધ, વિદ્વાન સંશોધનકાર તેમજ સાહિત્યકાર અને વિશ્વ હિન્દુ પરિષદનાં સ્થાપકોમાનાં એક શ્રી કે.કા. શાસ્ત્રીનું (કેશવરામ કાશીરામ શાસ્ત્રી) આજે (9-9-2006) બપોરે 3.30 વાગે 102 વર્ષની વયે અવસાન થયું છે. તેમણે બૃહદ ગુજરાતીશબ્દકોષનું સર્જન કરેલ. તેઓ ગુજરાતી સાહિત્ય જગતમાં એક અનોખી ભાત પાડતા હતા. તેઓએ 240 કરતા પણ વધારે પુસ્તકોનું સર્જન કરેલ તથા ઘણા બધા વિષયો પર લેખો લખેલ. તેમના અવસાનથી ગુજરાતી સાહિત્ય જગતે સૌથી અનુભવી અને અતિ વિદ્ધાન મહાવ્યક્તિ ગુમાવેલ છે અને આં ખોટ હમેશા સાલ્યા જ કરશે. ગુજરાતી સાહિત્ય જગતને સમૃદ્ધ કરનાર માં સરસ્વતીનાં પનોતા પુત્રને હ્રદયપૂર્વક શ્રંદ્ધાજલિ...

સિદ્ધાર્થ

Monday, September 04, 2006

વિજોગ

(છંદ : સોરઠા)

ઘન આષાઢી ગાજિયો, સળકી સોનલ વીજ,
દૂરે ડુંગરમાળ હોંકારા હોંશે દિયે,

મચવે ધૂન મલ્હાર કંઠ ત્રિભંગે મોરલા,
સળકે અંતરમાંહ્ય સાજણ ! લખલખ સોણલાં.


ખીલી ફૂલ બિછાત, હરિયાળી હેલે ચડી,
વાદળની વણજાર પલ પલ પલટે છાંયડી.

ઘમકે ઘૂધરમાળ સમદરની રણઝણ થતી,
એમાં તારી યાદ અંતર ભરી ભરી ગાજતી.

નહિ જોવાં દિનરાત : નહિ આઘું ઓરુ કશું;
શું ભીતર કે બહરા, સાજણ ! તું હિ તું હિ એક તું.


નેણ રડે ચોધાર તોય વિજોગે કેમ રે ?
આ જો હોય વિજોગ, જોગ વળી કેવા હશે ?

-મનસુખલાલ ઝવેરી (Mansukhalal Zhaveri)

Friday, September 01, 2006

મધુસંચય તરફથી અગત્યનાં સમાચાર

સ્વ. બકુલભાઈ ત્રિપાઠી ની અંતિમ ક્રિયા આવતી કાલે તા. 1 લી સપ્ટેમ્બર શનિવારના રોજ અમદાવાદ ખાતે કરવામાં આવશે. તે પૂર્વે સ્વર્ગસ્થના પાર્થિવ દેહને દર્શનાર્થે શનિવારે સવારે 9 થી 10 દરમ્યાન ગુજરાતી સાહિત્ય પરિષદના કાર્યાલય પર ગુજરાતી સાહિત્ય પરિષદ ભવન, જૂના ટાઈમ્સ ઓફ ઈંડિયા બિલ્ડિંગ પાછળ, આશ્રમ રોડ ખાતે લાવવામાં આવશે. સાહિત્યપ્રેમીઓ તે સમયે દિવંગત સાક્ષરને શ્રદ્ધાસુમન અર્પણ કરી શકશે.

શ્રધ્ધાંજલિ

આજકાલ ગુજરાતી સાહિત્ય જગતને વારંવાર આચકા આવે તેવા જ સમાચાર મળતા રહે છે. એક પછી એક ધુરંધરો આ ફાની દુનિયાને અલવિદા કહી રહ્યા છે.

હજી તો સર્વ શ્રી ચંદ્રકાંત બક્ષી, રમેશ પારેખ અને ગુલાબદાસ બ્રોકરનાં વિદાયની કળ વળે તે પહેલા શ્રી બકુલ ત્રિપાઠીનાં અવસાનનાં આઘાત જનક સમાચાર મળ્યા છે. આ બ્લોગનાં કર્તા અને વાંચકો તરફથી તેમને શ્રધ્ધાંજલિ અર્પણ.


(અકિલામાંથી સાભાર)



Monday, August 28, 2006

મિચ્છામિ દુક્કડમ


વ્હાલા વાંચકમિત્રો

સંવત્સરી પ્રતિકમણ કર્યા બાદ સર્વે જીવોને ખમાવવાની સાથે આપ સૌને પણ ખમાવુ છુ.

મિચ્છામિ દુક્કડમ

સિદ્ધાર્થ

Sunday, August 27, 2006

ગણેશ ચતુર્થી

ગણપતિબાપા ...મોરિયા

આજે ગણેશ ચતુર્થીનો સુંદર દિવસ છે. વિઘ્નહર્તા શ્રી ગણેશનો આજે જન્મ દિવસ...સમગ્ર ભારતમાં ધામધૂમથી ઉજવાય છે. માદરે વતનથી હજારો માઈલ દૂર આ દિવસ કઈ કેટલીય યાદો આંખોની સામે ફિલ્મની પટ્ટીની જેમ લઈ આવે છે.


મને યાદ છે અમે જ્યારે નાના હતા ત્યારે ગણેશ ચતુર્થી અને સંવત્સરી મોટા ભાગે એક જ દિવસે આવે. આ વખતે એક દિવસનો ફેર છે. સંવત્સરી પ્રતિકમણ કર્યા બાદ ઘરે પહોચતા તો કેટલીય સવારીઓ પૂજ્ય ગણેશ ભગવાનની રસ્તા પરથી પસાર થાય...લોકો આનંદમાં નાચતા હોય...સુંદર મજાની મૂર્તિઓ હોય અને દરેક વિસ્તારના યુવક મંડળો વચ્ચે મૂર્તિના કદ અને ડેકોરેશનની હરિફાઈ જામી હોય એવુ લાગે.
રાતે લગભગ દરેક સોસાયટીમાં જાહેરમાં હિન્દી ફિલ્મોનું પ્રદર્શન થાય. મે પોતે ઘણી બધી ફિલ્મો આવી રીતે મિત્રવર્તુળમાં રોડ ઉપર ઊભા રહીને જોઈ છે. આજે ઘણુ બધુ બદલાઈ ગયુ છે પરંતુ ઉત્સવોનો આનંદ વતનમાં આવે એવો તો બીજે ક્યાય આવતો નથી.

આ બ્લોગના દેશ વિદેશમાં વસતા વાંચકોને ગણેશ ચતુર્થી નિમિતે ઘણી જ શુભેચ્છાઓ .... આ પર્વ દરમ્યાન તમારો સમય સરસ મજાની ભક્તિમાં પસાર થાય એવી જ આશા અને સાથે જ આ પર્વ કોઈપણ પ્રકારના કોમી દાવાનળથી અસર ના પામે એવી શુભેચ્છા...

શકય હોય તો તમારા વિસ્તારના ગણેશ સ્થાપનની મૂર્તિની તસ્વીર sidshah70@gmail.com પર મોકલી આપશો તો હુ જરૂરથી પ્રસિદ્ધ કરીશ.

સિદ્ધાર્થ

Saturday, August 26, 2006

શરણાઈવાળો

એક શરણાઈવાળો સાત વર્ષ સુધી શીખી,
રાગરાગણી વગાડવામાં વખણાણો છે.
એકને જ જાચું એવી ટેવ છેક રાખી,
એક શેઠને રિઝાવી મોજ લેવાને મંડાણો છે.

કહે દલપતરામ પછી બોલ્યો તે કંજૂસ શેઠ,
"ગાયક ન લાયક તું ફોગટ ફુલાણો છે,
પોલું છે તે બોલ્યું તેમાં કરી તેં શી કારીગરી ?
સાંબેલું બજાવે તો હું જાણું કે તું શાણો છે."

-દલપતરામ

Tuesday, August 15, 2006


વ્હાલા વાંચકમિત્રો,

આજના સ્વતંત્રતા દિવસનાં અવસરે તમને મારી ઘણી ઘણી જ શુભેચ્છાઓ.

આશા રાખીએ કે ઉતરોતર ભારત પ્રગતિ કરે અને સાથે સાથે તેમના નાગરિકો પણ ખરા અર્થમાં પ્રગતિ કરે. આવનારા દિવસોમાં સહિયારા પ્રયત્નોથી આંતરિક, આંતરરાષ્ટ્રિય અને કુદરતી તકલીફો સામે લડવાની સંપૂર્ણ શક્તિ પ્રાપ્ત કરે એ જ આશા.

સિદ્ધાર્થ શાહ

Thursday, July 20, 2006

ધીંગાણુ

બાપુનાં ગઢમાં બધી જણસ છે, બે વાતની ખોટ છેં
પહેલું તો કે' યુદ્ધ થાય નહીં, બીજું ફાટલો કોટ છે.
શિરોહી તલવારનું લટકવું વર્ષોજૂનું ખીંટીએ
ને ફાટ્યો છે કોટ કાળબળથી આડીઊભી લીંટીએ

બાપુ કહેતા : 'નોતરાં દઈ દઉં દેમાર બારોટને
શત્રુ મારું - એમ આજ બખિયા મારી દઉં કોટને'
દોરાસોતી સોયથી પલકમાં દારુણ હલ્લો કર્યોને
બાપુએ કોટને કસબથી કાતિલ ટેભો ભર્યો

ત્યાં તો 'લોહી' એમ ચીસ સહસા પાડી ઊઠી આંગળી
ને બાપુના ટેરવે રગતની શેડ્યું ફૂટી નીકળી
'ખમ્મા, ખમ્મા બાપ...' એમ કહીને બાપુ કરે હાકલા
ખીંટીથી તલવારને લઈ કરે લોહી વડે ચાંદલા

થાતું બાપુને : બહુ શુકનવંતો આપણો કોટ છે
કિંતુ એક જ ખોટ, આજ અહીં ના એક્કેય બારોટ છે.

-રમેશ પારેખ (Ramesh Parekh)

Sunday, July 09, 2006

કહેજોજી રામ રામ

સૂરજદાદાને મારા કહેજોજી રામ રામ,
રામ રામ કહેજો ને આટલું વળી કહેજો,
કે વ્હેલો ઊઠ્યો છું પરોઢમાં.

ફૂલડાંરાણીને મારા કહેજોજી રામ રામ,
રામ રામ કહેજો ને આટલું વળી કહેજો,
કે રસ્તા વાળ્યા છે મેં એમના.

કોયલબે'નીને મારા કહેજોજી રામ રામ,
રામ રામ કહેજો ને આટલું વળી કહેજો,
કે મેં તો ગોખ્યું છે ગીત તાહરું.

પીળા પતંગિયાને કહેજોજી રામ રામ,
રામ રામ કહેજો ને આટલું વળી કહેજો,
કે વીણવા જવા છે રંગ સાંજના.

ચાંદામામાને મારા કહેજોજી રામ રામ,
રામ રામ કહેજો ને આટલું વળી કહેજો,
કે હોડીને છોડવી પાતાળમાં.

નીંદરમાસીને કહેજોજી રામ રામ,
રામ રામ કહેજો ને આટલું વળી કહેજો,
કે આવે વ્હેલીક જરા આજ તો.

-સુન્દરમ ( રંગ રંગ વાદળિયા) (Sundaram)

Saturday, July 08, 2006

મધ્યાહન

આ સોનેટૅમાં કવિએ મધ્યાહનની સ્તબ્ધતા અને મૂર્છામુક્તિ બન્નેને વર્ણવી છે. પ્રથમ આઠ પંક્તિઓમાં કવિએ મધ્યાહનનો નિરગ્નિ દવ સુપેરે દર્શાવ્યો છે. ક્ષિતિજ એમને હાંફતી લાગે છે. મધ્યાહનની છટા એમને ઘોર અવધૂતની છટા જેવી લાગે છે. વૃક્ષની છાયા સૂરજ માથે આવ્યો હોવાને કારણે વિલાઈ ગઈ છે. પણ એવુ સાચકલુ કારણ આપે તો કવિ શેના ? તેઓ તો કહે છે કે ભયને કારણે છાયા દૂબળી થઈ ગઈ છે. પવન તેમેને ભભૂકતા ભડકા જેવો લાગ્યો છે. તેમાં સમસ્ત લીલોતરી બળી ગઈ છે. ઝરણનાં મૂંગાં ઝાંઝરાંને છણછણી ઊઠતાં સાંભળતા કવિનાં કાન કેવા સરવા હશે ! અંતિમ છ પંક્તિઓમાં કવિએ સહસા ઊઠેલો વંટોળિયો અને તેની પાછળ દોડતો ભોળિયો ખર બન્નેની ગતિ દર્શાવી છે. અને સાથેસાથે હોંચીહોંચીનો શ્રવણ-લાભ પણ અપાવ્યો છે. મૂર્છિત અવનીને સજીવન કરનાર ગર્દભનો જાણે કવિએ 'હાશ!'ઉદગાર દ્વારા આભાર માન્યો છે.

હતી ક્ષિતિજ હાંફતી, પ્રખર ધોમ ધખતો હતો.
અઘોર અવધૂત શી હતી છટા જ મધ્યાહનની.
વિલાઈ ભય દૂબળી નહિશી છાંયડે સૌ બની.
અને અખિલ રોમરોમ અવકાશ બળતો હતો.
હતો પવન એહ ? કે ભભૂકતો શું ભડકો હતો ?
ઝળેળી ઊઠતાં અરણ્ય તરુઝુંડ ને ઝાંખરાં,
જરી છણછણી ઊઠ્યાં ઝરણનાં મૂંગાં ઝાંઝરાં,
નિરગ્નિ દવ સૃષ્ટિને પટ અફાટ ભમતો હતો.
હતું સકલ શાન્ત, છાતી મહીં મેંય નિ:શ્વાસ તો
હતો દીધ દબાવી, ત્યાં લઘુક એક વંટોળિયો
ઊઠ્યો કહીંથી ને પૂંઠે પકડવા જ જાણે જતો
ન હોય ત્યમ, વાડ પાછળથી કોઈ ખર ભોળિયો
પડ્યો સૂકલ ખેતરે ગજબ હોંચીહોંચી કરી.
સજીવ થઈ સૃષ્ટિ હાશ ! અવનીની મૂર્છા સરી.

-ઉમાશંકર જોશી ("આતિથ્ય"માંથી) (Umashankar Joshi)

Monday, June 19, 2006

જો હોય

આવી જ એક ક્ષણ હોય,
સામે અષાઢઘન હોય;

ફણગો ફૂટે અડકતાં જ
ભીનોભીનો પવન હોય;

જે તે ચણ્યું ગમે ના,
કાચું પીમળતું વન હોય;

ઊગી જવાય વાડે
જો આ ક્ષણે વતન હોય;

જામીય જાય મૂળિયાં
જો થોડુ બાળપણ હોય;

સિમેન્ટમાં ઢૂં ઢૂં છું :
એકાદ મિટ્ટીકણ હોય;

ઠરવા ચહે છે આંખો
હરિયાળું ક્યાંક તૃણ હોય;

બોલાવે ઘેર સાંજે
બાના સમુ સ્વજન હોય.

-ઉશનસ્ (Ushnash)

શ્રી ગુલાબદાસ બ્રોકરનું અવસાન

જાણીતા સાહિત્યકાર અને ટૂકીવાર્તાના ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન આપનાર શ્રી ગુલાબદાસ બ્રોકરનું પૂણે ખાતે નિધન થયુ છે. તેઓ 97 વર્ષનાં હતા. એમની વાર્તાઓમાં માનવીના મનનું કલામય આલેખન સરળ અને સુંદર રીતે થયેલ છે. છેલ્લી વાર મારી ભારતની મુલાકાત દરમ્યાન તેમની ટૂંકીવાર્તાઓનું પુસ્તક મને મળેલ જે એક જ બેઠકે વાંચી ગયેલ. તેઓની વાર્તાઓ ખરેખર જકડી રાખે તેવી અને સંવેદનાથી ભરપૂર છે.


આ ગુજરાતીબ્લોગ તરફથી તેઓને અંતરમનથી શ્રધ્ધાંજલિ અર્પણ.

સિદ્ધાર્થ

Thursday, June 15, 2006

આભાર...

વાંચક મિત્રો,

ઘણા લાંબા સમયનો વિરામ પડી ગયો. ડોક્ટર પણ ક્યારેક બિમાર પડી જતા હોય છે અને એમા મારો આ વખતે સમાવેશ થઈ ગયો. પરમ કૃપાળુ પરમાત્માની કૃપાથી અને મિત્રો અને શુભેચ્છકોની શુભેચ્છાઓથી પાછો સ્વસ્થ થઈ ગયો છું અને ફરીથી આ ગુજરાતી બ્લોગને સિંચવાનુ કામ ચાલુ કરી દઈશ. આ સમય દરમ્યાન ઘણી બધી ઈ મેઈલ્સ મળી જેનો સમય અને શક્તિ મળતા શાંતિથી પ્રત્યુતર આપીશ પરંતુ અત્રે બધાનો અંતકરણ પૂર્વક આભાર...

આજ રીતે તમારો સાથ આપતા રહેશો.

સિદ્ધાર્થ

Friday, June 02, 2006

જ્યારે વિધાતાએ દીકરી ઘડી

વિધાતાએ દીકરી ઘડીને, ત્યારે ખૂબ ખાંતે
કસબી હાથેથી એણે કરી કમાલ!
રૂપનો અંબાર કરું, મીઠપ અપાર ભરું
ખજીનો ખૂટાડી કરું ખલકને ન્યાલ.

દેવીયું કનેથી માંગી લીધો મલકાટ
અને મધરાતે માપી સીમાડા સુદૂર
ચપટીક રજ લીધી નખેતર તણી
અને દીકરીના આંખે ભર્યાં દમકતાં નૂર

સાકરને લઈને સવાદ એણે દીકરીમાં
તજને લવિંગ વળી ભેળવ્યાં જરીક,
સૂરજનાં ધોળાં ફૂલ હાસને હુલાસ દીધાં
જોઈ કારવીને કીધું, હવે કાંક ઠીક.

વિધાતાએ દીકરી ઘડીને વળી જોઈ જોઈ
વારે વારે હસું હસું થાય એનું મુખ

હૈયે એને હાશ, હર માવતર કાજે ધર્યું
હર્યુંભર્યું હેત, નર્યું નીતર્યું આ સુખ

-અજ્ઞાત અંગ્રેજ કવિની કવિતાનો અનુવાદ મંકરદ દવે દ્ધારા ("દીકરી વ્હાલનો દરિયો" માંથી સાભાર)
gujarati blog

Sunday, May 28, 2006

મા બાપને ભૂલશો નહિ

હમણા "મધર્સ ડે" ગયો...માર્કેટિંગનાં ખેરખા એવા આ દેશમાં લાગણીનો મોટો ધંધો થઈ ગયો છે અને જીંદગી એવી થઈ ગઈ છે કે મા બાપને યાદ કરવા કે તેમની સાથે સમય વિતાવવા માટે સમય નથી, તેથી આવા "મધર્સ ડે" અને "ફાધર્સ ડે"નાં દિવસોએ એક સરસ મજાનું કાર્ડ કે પછી ફૂલનો ગુલદસ્તો અથવા તો પછી એક સાંજ માટે ફેમીલી સાથે ડીનર લઈને પોતાની માબાપ પ્રત્યેની જવાબદારી પૂરી થયાનો આજનો સંતાન આનંદ માણે છે. પરંતુ હકિકત એ છે કે તેઓને તમારા પળ બે પળ સાથ સંગાથની જરૂર નથી તેમને જરૂર છે તમારી લાગણીની...તમારી હૂંફની

આ સુંદર મજાની આંખો ખોલાવી નાખતી રચના વાંચીને તમે આંતરખોજ કરજો કે તમે મા-બાપને જીંદગીની ઘટમાળમાં ભૂલી તો નથી ગયાને....આ રચના વાંચીને કદાચ એક પણ બાળક તેમના મા-બાપને પ્રેમથી યાદ કરીને બોલાવશે તો આ પ્રયત્ન સાર્થક ગણાશે.

સિદ્ધાર્થ


મા બાપને ભૂલશો નહિ


ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ
અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહિ

પથ્થર પૂજ્યા પૃથ્વી તણા, ત્યારે દીઠું તમ મુખડું
એ પુનિત જનનાં કાળજાં, પથ્થર બની છુંદશો નહિ

કાઢી મુખેથી કોળીયા, મ્હોંમાં દઈ મોટા કર્યા
અમૃત તણાં દેનાર સામે, ઝેર ઉગળશો નહિ

લાખો લડાવ્યાં લાડ તમને, કોડ સૌ પુરા કર્યા
એ કોડના પુરનારના, કોડને ભૂલશો નહિ

લાખો કમાતા હો ભલે, મા બાપ જેથી ના ઠર્યા
એ લાખ નહિં પણ રાખ છે, એ માનવું ભૂલશો નહિ

સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો
જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહિ

ભીને સૂઈ પોતે અને, સુકે સુવડાવ્યા આપને
એ અમીમય આંખને, ભૂલીને ભીંજવશો નહિ

પુષ્પો બિછાવ્યાં પ્રેમથી, જેણે તમારા રાહ પર
એ રાહબરના રાહ પર, કંટક કદી બનશો નહિ

ધન ખરચતાં મળશે બધું, માતા પિતા મળશે નહિ
પલ પલ પુનિત એ ચરણની, ચાહના ભૂલશો નહિ.

-સંત પુનિત (Sant Punit)



gujarati blog




Wednesday, May 24, 2006

ઓ નીલગગનનાં પંખેરું....

આ ગીત મને ખૂબ જ ગમે છે, મુકેશના કંઠે પહેલીવાર સાંભળ્યુ હતું. કદાચ ગુજરાતી ચિત્રપટનું ગીત છે. વાંચકો વધુ માહિતિ હોય તો જરૂરથી મોકલાવશો. કર્તાનું નામ મને ખબર નથી તેથી લખ્યુ નથી, જાણકાર વાંચકો આ ગીત વિશે વધુ માહિતિ આપશે તો ઘણૉ જ આનંદ થશે.

સિદ્ધાર્થ


ઓ નીલ ગગનનાં પંખેરું
તુ કાં નવ પાછો આવે
મને તારી
ઓ મને તારી યાદ સતાવે

ઓ નીલગગનનાં પંખેરુ

સાથે રમતા સાથે ભમતાં
સાથે નાવલડીમાં તરતાં
એક દરિયાનું મોજુ આવ્યું
વાર ન લાગી આવી તુજને સરતાં
આજ લગી તારી વાટ જોવુ છું
તારો કોઈ સંદેશો ના આવે...
મને તારી...(2)

ઓ નીલગગનનાં પંખેરુ

તારા વિના ઓ જીવનસાથી
જીવન સૂનું સૂનું ભાસે
પાંખો પામી ઊડી ગયો તું,
જઈ બેઠો તું ઊંચે આકાશે
કેમ કરી હું આવુ તારી પાસે...(2)
મને કોઈ ના માર્ગ બતાવે...(2)
મને તારી
ઓ મને તારી યાદ સતાવે

ઓ નીલગગનનાં પંખેરું....

મોરલા સમ વાટલડી જોઉં
ઓ રે મેહુલા તારી
વિનવુ વારંવાર તુને
તુ સાંભળી લે વિનંતિ મારી
તારી પાસે છે સાધન સૌએ

તુ કા નવ મને બોલાવે ...(2)
મને તારી યાદ સતાવે...(2)


ઓ નીલગગનનાં પંખેરું....

આ ગીત સાંભળવા અહિ ક્લીક કરો

gujarati blog







Wednesday, May 17, 2006

કવિ શ્રી રમેશ પારેખ

રાજકોટમાં જ્યારે રમેશ પારેખ કાવ્યપર્વ યોજાયુ ત્યારે કવિ શ્રી અરવિંદ ભટ્ટે નીચેનુ કાવ્ય રજૂ કરેલ જેમા રમેશ પારેખ અમરેલી છોડીને રાજકોટ સ્થાયી થવાનો નિર્ણય લીધો તેનો ઉલ્લેખ હતો.

બોલ અમરેલી તને કેવુ-કેવુ થાય
રમેશ પારેખ આજે તને છોડી-છોડી જાય
ર.પા. તારા આંગણાનો છોડ
તેને જોઈ જોઈ તને ઉગ્યા કરે કોડ
આથમે તું ત્યારે અહી ઉગતો રમેશ

આજ કવિતા આજના સંદર્ભમાં લઈએ તો

બોલ આ દુનિયા તને કેવુ-કેવુ થાય
રમેશ પારેખ આજે તને છોડી-છોડી જાય
ર.પા. તારા આંગણાનો છોડ
તેને જોઈ જોઈ તને ઉગ્યા કરે કોડ
આથમે તું ત્યારે અહી(ગુજરાતી સાહિત્ય જગતમાં)
હમેશ ઉગતો રમેશ


સાચે જ રમેશ પારેખ તેમની રચનાઓ દ્ધારા ગુજરાતી સાહિત્ય જગતમાં તો અમરત્વને પામી જ ચૂક્યા છે.

સિદ્ધાર્થ

gujarati blog

કવિ શ્રી રમેશ પારેખનું અવસાન

આજે સવારે ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય કવિ શ્રી રમેશ પારેખ નું હૃદયરોગના હુમલાથી અવસાન થયું છે. આ બ્લોગના વાંચકો તદઉપરાંત ગુજરાતી કવિતામાં રસ ધરાવતા રસિકો માટે અંત્યત આઘાતનાં સમાચાર છે. લાગણીઓને શબ્દોમાં વણી લેવાની તેમની એક અનોખી વિશિષ્ટતા હતી. આ બ્લોગનાં કર્તા અને વાંચકો તરફથી "છ અક્ષરનું નામ"નાં રચયિતાને અશ્રુભીની શ્રદ્ધાજંલિ. શ્રી રમેશ પારેખના અવસાનથી ગુજરાતી સાહિત્ય જગતને ન પૂરાય તેવી ખોટ પડી છે અને સદગતના આત્માને પ્રભુ શાંતિ આપે એ જ પ્રાર્થના....

સિદ્ધાર્થ શાહ

Monday, May 15, 2006

Important tip

Dear fellow gujarati bloggers,

It is a matter of great pride that gujarati blog world is spreading its wings and more and more people are coming in and sharing their knowledge, experiences and love for literature in Gujarati. I just came across a situation which I am sure lots of you must have come across and while researching it further I found the solution. So I am posting the solution here. I hope it helps.

When you create a blog in Gujarati most of the time in Internet Explorer it looks fine but in firefox or some other browser it may look different and non-readable. I am providing sample below.



To avoid this, please go to the template and in the stylesheet section of the code make sure your text is aligned to left. Also when you create a post make sure it is not set to "justify" but set to "left aligned". I hope this is not too technical. I invite other fellow bloggers to simplify it. Most of the time when you try to justify the text it is ok for English but gujarati unicode are not set up for "justify"

I hope this little tip will certainly help the look of your site and make life for gujarati readers much more fun.

regards,

Siddharth

Saturday, May 13, 2006

રમૂજી ગીત

ઈન્ટરનેટ એક ગજબની વસ્તુ છે. ઘણીવાર એવુ મળી જાય છે કે તમારાજ્ઞાનમાં વધારો કરે અને ઘણીવાર તમારૂ હસાવી હસાવીને પેટ દુખાડી દે. આજે નેટ પર ફરતા ફરતા કોઈ ઉભરતા ગાયકે પોતાની સૂવાની આદત પર ગીત ગાયુ છે જે તમે સાંભળીને હસવાનું રોકી નહિ શકો.

સાંભળવા માટે અહિ ક્લીક કરો.


સિદ્ધાર્થ

Friday, May 12, 2006

પનઘટની વાંટે


તને જાતા જોઈ પનઘટની વાટે
મારૂ મન મોહી ગયુ,

તારા રૂપાળા ગોરા ગોરા ઘાટે,
મારૂ મન મોહી ગયુ,

કેડે કંદોરોને કોટમાં દોરો
તારા લહેરિયાની લાલ લાલ ભાતે,
મારૂ મન મોહી ગયુ,

રાસે રમતી આંખને ગમતી
પૂનમની રઢિયાળી રાતે,
મારૂ મન મોહી ગયુ,

બેંડલુ માઠે ને મહેંદી ભરી હાથે
તારી ગાગરની છલકાતી છાંટે,
મારૂ મન મોહી ગયુ,

તને જાતા જોઈ પનઘટની વાટે
મારૂ મન મોહી ગયુ,


-અવિનાશ વ્યાસ (Avinash Vyas)

Wednesday, May 10, 2006

આ કોની મનોરમ દ્ધષ્ટિથી

આ બ્લોગ વાંચતા વાંચકોને અંદાજ હશે જ કે પ્રકૃતિગાન કરતી કવિતાઓ મારી પ્રિય છે અને સમયાંતરે હુ આ પ્રકારની કવિતાઓ રજૂ કરવાનો મોકો શોધતો જ હોઉ છું. આજે ગની દહિવાળાની આ સુંદર કવિતા રજૂ કરૂ છું જે વાંચીને એક સુંદર હિન્દી ગીત "યે કોન ચિત્રકાર હે, યે કોન ચિત્રકાર હે" યાદ આવી જાય છે.

સિદ્ધાર્થ

-------------------------------------------------------------------------------------

આ કોની મનોરમ દ્ધષ્ટિથી આકાશનું અંતર ભીંજાણું ?
ધરતીને જતનથી ઓઢેલું નવલું નીલામ્બર ભીંજાણુ ?



આ ઈંદ્ધધનુની પિચકારી કાં સપ્તરંગમાં ઝબકોળી ?
ફાગણ નહિ આ તો શ્રાવણ છે, એમાં રમી લીધી હોળી?


છંટાઈ ગયા ખુદ, વ્યોમ સ્મું ધરતીનું કલેવર ભીંજાણું,
ધરતીએ જતનથી ઓઢેલું નવલું નીલામ્બર ભીંજાણું,


કાળી કાળી જલપરીઓની આંખોમાં વીજના ચમકારા,
ત્યાં દૂર ક્ષિતિજે દેખાતા આ કોની આંખના અણસારા ?


શી હર્ષાની હેલી કે, ધરતીનું કલેવર ભીંજાણું,
ધરતીએ જતનથી ઓઢેલું નવલું નીલામ્બર ભીંજાણું,

આરસભીની એકલતામાં સાંનિધ્યનો સાંજે સંભવ છે,
ફોરાંની મૃદુ પાયલ સાથે આ કોનો મંજુલ પદરવ છે?

આનંદના ઉઘડ્યા દરવાજા, ધરતીનું કલેવર ભીંજાણું,
ધરતીએ જતનથી ઓઢેલું નવલું નીલામ્બર ભીંજાણું,


-ગની દહીંવાળા (Gani Dahiwala)

Saturday, May 06, 2006

આમ તો

આજે હેતલભાઈના નવો ગુજરાતી બ્લોગ ધ્યાનમાં આવ્યો અને તેમના બ્લોગ પર રજૂ થયેલ આ કવિતા અત્રે પ્રસ્તૂત કરવાની ઈચ્છા રોકી શક્યો નથી.



સિદ્ધાર્થ
--------------------------------------------------------------------------------------------

આમ તો ખૂબ સહેલી વાત છે જળથી ભીના થવું
પણ
ધોધમાર આષાઢને દિવસે
અનેક લોકો વસ્ત્ર સાચવતા છત નીચે ઊભા રહે ત્યારે
માર્ગ ઉપરથી બધીયે આંખોને વટાવી
ભીના થતાંથતાં ચાલી જવું
થોડીક હિંમત માગી લે છે.

આમ તો ખૂબ સહેલું છે એક ફુલને હાથમાં રમાડવું
પણ
રવિવારની સાંજે બાગમાં ગપ્પાં મારતાં લોકો બેઠા હોય ત્યારે
એક ફુલની પાંખડી સાથે અંગત વાતો કરવી
થોડીક હિંમત માગી લે છે.

બાળક સાથે રમવું એ કંઈ મોટી વાત નથી.
પણ
આપણા નામની આસપાસ
કીર્તિનું સોનું ગૂંથાઈ જાય પછી
ફરી પાછા નાનકડા થઈ રમતમાં ભૂલા પડવું
થોડીક હિંમત માગી લે છે.

આમ તો સહેલી છે મૃત્યની વાતો કરવી વિરકત થઈને
પણ
રાત્રિની સ્તબ્ધતામાં એના આગમનના પડઘા
આપણા ઘર ભણી આવતા લાગે તે પછી પણ
હસતાં રહેવુંથોડીક હિંમત માગી લે છે.

-વિપિન પરીખ (Vipin Parikh)

Friday, May 05, 2006

જો થઈ છે.......

આજે મે બ્લોગમાં મોટા ફેરફાર કરવાનો વિચાર કર્યો. મારી પોતાની વેબસાઈટ નોંધાવ્યા બાદ વિચાર્યુ કે હવે બ્લોગ પણ ત્યા ટ્રાન્સફર કરી દઉ. વર્ડપ્રેસ નામનું આજકાલ ઘણુ જાણીતુ સોફ્ટવેર બ્લોગ માટે વાપરવાનું નકકી કર્યુ અને ત્યારબાદ કામકાજ ચાલુ કર્યુ. આમ તો વાંધો કશો આવ્યો નહિ પરંતુ ફોર્મેટીંગ બધુ બગડી ગયુ. જો કે આવનારા થોડા દિવસો માં હુ તમને વેબસાઈટનું નવુ સરનામુ આપીશ.

લોકો કહે છે કે "હિમ્મતે મર્દા તો મદદે ખુદા" હમણા કોઈક પાસેથી સાંભળ્યુ કે "હિમ્મતે મર્દા તો માર ખવડાવે ખુદા"

તમે જ જણાવો કે તમારો અનુભવ કેવો છે.

ચાલો ત્યારે,

આવજો રામ રામ,

સિદ્ધાર્થ શાહ

Wednesday, May 03, 2006

પ્રેમ એટલે કે


પ્રેમ એટલે કે,
સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો.
સ્વપ્નમાં પળાય એવો કાયદો


પ્રેમ એટલે કે,
તારા ગાલોના ખાડામાં ડૂબી જતા મારા ચોર્યાસી લાખ વહાણૉનો કાફલો
ક્યારે નહીં માણી હો,
એવી કોઈ મોસમનો કલરવ યાદ આવે, એ પ્રેમ છે.
દાઢી કરતા જો લોહી નીકળે ને ત્યાંજ કોઈ પાલવ યાદ આવે, એ પ્રેમ છે.


પ્રેમ એટલે કે,
સાવ ઘરનો જ એક ઓરડોને તોય આખા ઘરથી અલાયદો,
કાજળ આંજીને તને જોઉં તો તું લાગે,
એક છોકરીને તે શ્યામવર્ણી
વાદળ આંજીને જોતાં એવું લાગ્યું કે, મને મૂકીને આકાશને તું પરણી
પ્રેમમાં તો ઝાકલ આંજીને તને જોવાની હોય અને ફૂલોમાં ભરવાનો હોય
છે મુશાયરો

પ્રેમ એટલે કે...


-મુકુલ ચોક્સી (Mukul Choksi)

Wednesday, April 19, 2006

કબીરવડ

આ સુંદર કવિતા મોકલવા બદલ ડો. વિવેકનો ઘણૉ જ આભાર...
આ કવિતા ટાઈપ કરતી વખતે જ મને ગુજરાતીમાં OCR પ્રકારનું સોફ્ટવેર તૈયાર કરવામાં આવે તો ઘણો જ ફાયદો થાય અને ઘણુ જ અમૂલ્ય સાહિત્ય ડીજીટાલાઈઝ થઈ શકે એવો વિચાર આવેલ. વિશાલ તમને સમય મળે તો જરૂરથી Projectનો શુભ આરંભ કરશો.

આ કવિતા વાંચતી વખતે મને તો ફક્ત કબીરવડ જ નહિ પરંતુ મારા શહેર વડોદરાનાં ઘણા બધા વડ યાદ આવી જાય છે જેની સંખ્યા દિન-પ્રતિદિન ઘટતી જાય છે.

સિદ્ધાર્થ
------------------------------

કબીરવડ

(શિખરિણી)

ભૂરો ભાસ્યો ઝાંખો, દૂરથી ધૂમસે પહાડ સરખો,
નદી વચ્ચે ઊભો, નિરભયપણે એકસરખો;
દીસ્યો હાર્યો જોદ્ધો, હરિ તણું હ્રદે ધ્યાન ધરતો,
સવારે એકાંતે, કબીરવડ એ શોક હરતો.
કદે દેખાવે એ, અચરતી જણાયે જગતમાં,
ખરી મ્હોરાંનો, મગરૂબ રહે દેશ નવ કાં?
મનાયે સત્સંગે પવિતર કબીરાભગતમાં,
પ્રજાની વૃદ્ધિએ, નિત અમર કહેવાય નવ કાં?
જતાં પાસે જોઉં, વડ નહિ વડોનું વન ખરે,
મળે આડા ઊભા, અતિ નિકટ નીચે ઉપર જે;
વડે ઝાઝા તોએ, સહુ ભળી ગયે એક દીસતો,
વળી સંધાઓનું, અસલ જીવતું એક મૂળ તો.
ફૂટી ડાળોમાંથી, પ્રથમ તરુ કેરી નીકળતા,
ખૂંચે તેવા તંતુ, વધી જઈ નીચે જે લટકતા;
જટાની શોભાથી, અતિશ શરમાઈ શિવ ઊઠ્યા,
જટાને સંકેલી, વડ તજી ગિરિએ જઈ રહ્યા.
જટા લાંબી લાંબી, મૂળ થડથી થોડેક દૂર જે,
નીચે ભૂમિ સાથે, અટકી પછી પેસે મહીં જતે;
મળી મૂળિયાંમાં, ફરી નીકળી આવે તરુરૂપે,
થડો બાંધી મોટાં, ઘણીક વડવાઈ કહી રહે.


વડો વચ્ચે વચ્ચે, તરુ અવર આસોપાલવનાં
વડોથી ઊંચાં છે, ખીચખીચ ભર્યાં પત્રથી ઘણાં;
ઘણા આંબા ભેગા, વળી ઘણીક સીતાફળી ઊગે,
બીજાં ઝાડો છોડો, વડની વચમાં તે જઈ ઘૂસે.

ઉનાળાનો ભનુ, અતિશ મથે ભેદી નવશકે,
ઘટા ઊંચે એવે, જન શીતળ છાયા સુખ લિય;
ખૂલી બાજુઓથી, બહુ પવન આઅવે જમીનને,
કરે ચોખ્ખી રૂડે, પછી મિત થઈને ખુશી કરે.

ઘણાં જંતુ પંખી, અમળ સુખ પામે અહીં રહી,
ઘણાં જાત્રાળુઓ, અહીં ઊતરતાં પુણ્ય સમજી;


ઘણા શિકારીઓ, ગમત કરતા રેહ બહુ અહીં,
હજારો લોકોને, અડચણ સમાતાં અહીં નહિ.


અહીંયાંથી જોવે, ચકચકતી વ્હેતી નદી દૂરે,
પશુ કો જોવાં જે, અહીતહીં ચરે બેટ ઉપરે.
ઘટા ભારે જોવી, શબદ સુણવા કોઈ ખગના,
દિલે વાયુ લેવો, સુખ નવ હીણ લે કરમના.


ઘટા થાળાં લીધે, ઘણીક ફરવાને ગલી થઈ,
બખોલો બંધાઈ, રમણીય બહુ બેઠક બની;
નિરાંતે જેમાં તો, ખુશી થકી રમે લાલ લલટોના,
નિરાંતે જેમાં તો, ખુશી થકી રહે જોગી જપમાં.

દીપે છાયી જાડાં, હરિત કુમળાં પત્ર ઠુમસાં,
વળી રાતા ટેટા, ચૂગી બહુ જીવો પેટ ભરતા;

પડે બાજુએથી, બહુ ખુશનુમા રંગકિરણો,
નીચે ચળકે તડકે, બરફ સરખાં ઠારથી પડો.


ઠરી મારી આંખો, કબીરવડ તુને નીરખીને,
ખરી પાપી બુદ્ધિ, ખરી જ રૂડી જાત્રા થઈ મને;
વિશેષે શોભે છે, ગભીર વડ તુંથી નરમદા,
કૃતાર્થી મોટો હું, દરશન વડે છું નરમદા



-નર્મદ (Narmad)

Monday, April 17, 2006

બે નવા ગુજરાતી બ્લોગ

વાંચકમિત્રો,

લાગે છે કે ઘીમી શરૂઆત બાદ ગુજરાતીનો વ્યાપ દિવસે દિવસે નેટ પર વધતો જાય છે, અને આ ખરેખર આનંદની વાત છે. તદ્ઉપરાંત મોટાભાગનાં બ્લોગ જે સાહિત્યલક્ષી હતા તેમા પણ વૈવિધ્ય આવતુ જાય છે અને જુદાજુદા વિષયો પર ગુજરાતીમાં લખાણ હવે બ્લોગજગતમાં વાચવા મળે છે.

ફરિદભાઈએ ઈસ્લામની સાચી સમજણ આપતો બ્લોગ શરૂ કરેલ છે, જેનુ નામ પણ ખૂબ જ સરસ છે...સુવાસ
આશા રાખીએ કે આ બ્લોગ દ્રારા ઈસ્લામની સાચી સમજણ પ્રસરે અને કોમી દાવાનળની આગ જે સમયાંતરે ગુજરાતમાં ભડકી ઊઠે છે, તેનુ શમન થાય.

બીજો એક બ્લોગ જે મુંબઈથી પ્રસિદ્ધ થાય છે. કર્તાની પૂરી માહિતિ અપ્રાપ્ય છે પરંતુ આ બ્લોગમાં મુંબઈમાં રહેલ ગુજરાતી સાહિત્ય જગતના મોખરાનાં કટારલેખકો, પત્રકારો, એનાઉન્સર, લેખકોની સરસ વાત કરી છે.http://hemangkris.blogspot.com/

ગુજરાતી બ્લોગ જગતમાં આપનુ સ્વાગત છે અને આશા રાખીએ કે આ રીતે જ વધારે લોકો ગુજરાતી નેટ જગતમાં આવતા રહે અને તે રીતે ગુજરાતીઓને અને ગુજરાતી ભાષાને લાભ કરાવતા રહે.

અસ્તુ

સિદ્ધાર્થ શાહ

Sunday, April 16, 2006

દિવસો પછી માણેલી એક સવાર

શ્રી કિશોરભાઈ રાવળ એક સુંદર ગુજરાતી વેબ મેગેઝીન ઘણા સમયથી પ્રસિદ્ધ કરી રહ્યા છે. દર બે માસે તેઓ નવો અંક રજૂ કરે છે. જે વાંચવાની મજા જ કઈ ઓર છે. સરસ મજાનું સાહિત્ય તેઓ રજૂ કરી છે. તેઓ પોતે પણ ચિત્રકાર અને લેખક છે. તેમને વેબસાઈટ પર રજૂ કરેલ આ કવિતા મને ખૂબ જ પસંદ પડી હોવાથી અત્રે રજૂ કરેલ છે. તેમને વેબસાઈટનું નામ છે કેસૂડા.કોમ (www.kesuda.com)



ગાયોના આંચળમાંથી બોઘરણામાં છંટાતી દૂધની સેરના સ્તોત્રો !



ખેતરમાં દોડવા અધીર બળદોને કંઠે રણકતી ઘૂઘરીઓનાં પરભાતિયાં !



સવારનું કપૂરી અજવાળુ !




શીતળ સમીરનો માદક ધૂપ !



સૂડાઓનો સ-સ્વર વૈદિક મંત્રોચ્ચાર !



ગૂપચૂપ ટૂંટિયું વાળી આવી બેઠેલા સોનવર્ણી સૂરજદેવ !


ભટુરિયાંઓનાં ભમરડાઓનાં ગુંજારવની ધૂન !



સધ્યસ્નાતા હર્યા ભર્યા લાલિત્યની દીપશિખા !


ઘણાં વર્ષો પછી હું મારા ઘરની હૂંફ માણી રહ્યો છું.

-જયદેવ શુક્લ (Jaydev Shukla)

Sunday, April 09, 2006

ઘર



આ ઘર કે પેલુ ઘર
પણ એ હોવું જોઈએ મારૂ ઘર,
અમારૂ ઘર, આપણું ઘર,
જ્યાં સલામતી અનુભવાય,
જ્યાં શાંતિ પમાય,
જ્યાં આનંદ ઉભરાય,
જ્યાં પોતાપણાને પમાય,
તેમાં જીવાય,
તેમાં વિસ્તરાય,
તેમાં ખિલાય,
બસ, એવું છે મારૂ ઘર.

-સત્યમુનિ (Satyamuni)

(ગુજરાત દર્પણમાંથી સાભાર)

Saturday, April 08, 2006

એક વિચાર

આજે વિવેકભાઈએ મને સુંદર કવિતા 'કબીરવડ' ઈ મેઈલ દ્ધારા મોકલી. ખૂબ જ આનંદ થયો. કવિતા ઘણી જ મોટી છે તેથી ટાઈપ કરવા બેઠો ત્યારે જ મનમાં વિચાર આવ્યો કે ગુજરાતીમાં OCR જેવુ સોફ્ટ્વેર તૈયાર કરવામાં આવે તો કેટલા બધા સુંદર ગુજરાતી પુસ્તકો ડીજીટાલાઈઝ થઈ શકે. નેટ પર સર્ચ કરી તો કોઈ અર્થસભર સોલ્યુશન હજી સુધી નથી મળ્યુ. જો કે મહારાજા સયાજીરાવ યુનીવર્સિટીનાં ગુજરાતી વિભાગમાં કદાચ આ વિષયનું સંશોધન કાર્ય ચાલુ થયેલ હોય એવુ લાગે છે. આ બ્લોગ વાંચતા કોમ્પ્યુટર તજજ્ઞો જો આ વિષય પર વધુ માહિતિ હોય તો જરૂરથી મને ઈ મેઈલ કરવા વિનંતી છે.

સિદ્ધાર્થ શાહ

Thursday, April 06, 2006

ચંદ્ધકાંત બક્ષી


આરપારનાં હાલના અંકમાં સ્વ. બક્ષીને શ્રદ્ધાંજલિ આપતા લેખો જાણીતા લેખકોએ લખેલ છે. ખબર નથી પડતી કે શ્રદ્ધાંજલિ આપી છે કે તેઓનાં બક્ષી સાથેનાં મતભેદોનું વર્ણન કરેલ છે. ખાસ કરીને સૌરભ શાહનો લેખ.....વાંચીને તમારા અભિપ્રાય જણાવશો.

સિદ્ધાર્થ શાહ

Wednesday, March 29, 2006

ગુજરાતી વેબસાઈટ

વાંચકમિત્રો,

દિનપ્રતિદિન ગુજરાતીમાં વેબસાઈટની સંખ્યા વધતી જાય છે. હમણા જ ધવલભાઈના બ્લોગ પર બે સુંદર નવા બ્લોગ વિશે માહિતિ હતી અને મારા બ્લોગ પર પણ મે ગુજરાત ટાઈમ્સનો ઉલ્લેખ કરેલ છે. આજે બીજી વેબસાઈટ પણ જોવામાં આવી અને તેમા તમને સહભાગી બનાવવાની ઈચ્છા રોકી શક્યો નથી.

પ્રથમ વેબસાઈટ મારા શહેર વડોદરાની છે. જ્યારે બીજી વેબસાઈટ પાટીદાર સમાજની વેબસાઈટની છે. બન્ને વેબસાઈટ ખૂબ જ ઉમદા હેતુથી બનાવવામાં આવી છે. આશા રાખીએ કે તેઓના હેતુ જરૂરથી પૂર્ણ થાય.

વડોદરા કલેક્ટોરેટ

ધરતી વિકાસ મંડળ


સિદ્ધાર્થ શાહ

Tuesday, March 28, 2006

સરસ સમાચાર

ગુજરાતી વાંચકમિત્રો માટે એક સરસ ખબર છે. જાણીતું અઠવાડિક ગુજરાત ટાઈમ્સ જે મારા ખ્યાલથી ઈંડીયા એબ્રોડ ગ્રુપ પ્રસિદ્ધ કરી રહ્યુ છે તે હવે નેટ પર પ્રાપ્ય છે. આ ખૂબ જ સરસ અઠવાડિક છે. તેમા અલગ અલગ પ્રકારના વિભાગો છે તદ્ઉપરાંત સારા ગુજરાતી પુસ્તકોની માહિતી હોય છે અને જાહેરખબર વિભાગ છે. આનો આનંદ માણવા માટે અત્રે ક્લિક કરો.

સિદ્ધાર્થ શાહ

Saturday, March 25, 2006

શ્રંદ્ધાજલિ



આજે નેટ પર ગુજરાતી વર્તમાનપત્ર અકિલા ન્યૂઝ દ્રારા સુપ્રસિદ્ધ લેખક શ્રી ચંદ્રકાંત બક્ષીનાં નિધનના સમાચાર જાણ્યા. તેઓનું ગુજરાતી સાહિત્યમાં ખૂબ જ નોંધપાત્ર પ્રદાન છે. નિડરતા અને પ્રમાણિકતાથી લખનાર લેખકોમાં શ્રી બક્ષી નંબર વન હતા. તેઓના અચાનક સ્વર્ગવાસથી ગુજરાતી સાહિત્ય જગતને ન પૂરાય તેવી ખોટ પડી છે. આ બ્લોગનાં કર્તા તથા વાંચકો તરફથી શ્રી ચંદ્રકાંત બક્ષીને અશ્રુભીની શ્રંદ્ધાજલિ.

સિદ્ધાર્થ શાહ

અકીલામાંથી સાભાર...

Wednesday, March 22, 2006

આરસના મોર

મુક્ત પ્રકૃતિની રમ્ય અને રોમાંચક લીલાને બંધ ઓરડામાં ઈન્દ્ધ્રિયજડ બનીને ન માણી શકાય. ઘનઘોર મેઘને ગોરંભાયેલો જોઈને વનના મોર ડોકના ત્રિભંગ કરીને ટહુકી ઊઠે, પરંતુ ઓરડાને ટોડલે કંડારેલા આરસના મોર ચૂપ બેઠા છે ! એમને સૂસવતો પવન કે લીલીછમ ભીનાશ સ્પર્શી શકતા નથી ! નજર સામે જ ઝરણામાં ઓગળી જતા પહાડ દેખાય, પણ આરસના મોર તો ઓરડારૂપી ડાળ ઉપર મૂંગામંતર થઈને બેઠા છે ! ટોડલા કે નેવાં પણ વર્ષાની ઝડીને માણી શકતા નથી. આધુનિક નગરસભ્યતા વચ્ચે કહેવાતું સુઘડ જીવન જીવતા સાંપ્રત સંવેદનશૂન્ય મનુષ્ય પરનાં મર્માળા કટાક્ષનો ધ્વનિ આ ગીતમાં સ્ફુરતો જણાશે.



ચોમાસું ચીતરે માળો ઘનઘોર
વન હઈએ તો એવું કલ્લોલીએ...
અમે આરસના મોર કેમ બોલીએ ?

પાંદડામાં સૂસવતો લીલોછમ થડકારો
ખખડાવે ભીડ્યાં કમાડને
જાળીએ બેસીને અમે ઓગળતો ભાળીએ,
મીણ જેમ આઘેરા પહાડને;
વલવલતા ખોરડાની ડાળ ઓરડો પાળ્યો :
કમાડ કેમ ખોલીએ ?

ઢોળ્યા ઢોળાય નહિ ટોડલા
ને ઘૂઘવતું ખોબે બંધાઈ રહે પાણી,
નભમાંથી ધોધમાર વરસે
ને વાત રહે નેવાંથી કેટલી અજાણી ?
તરણાની જેમ અમે હળવાંફૂલ હઈએ તો -
ગાંડાતૂર વાયરામાં ડોલીએ.

-રમેશ પારેખ ('છ અક્ષરનું નામ') (Ramesh Parekha)

Friday, March 10, 2006

વિદાય લેતી કન્યાનુ ગીત


દાદાને આંગણ આંબલો
આંબલો ઘોર ગંભીર જો...


એક તે પાન મેં ચૂટિયું
દાદા ન દેશો દોહાઈ રે...

અમે રે લીલુડા વનની ચરકલડી
ઊડી જાશું પરદેશ જો...


દાદાને આંગણ આંબલો
આંબલો ઘોર ગંભીર જો...


આજ રે દાદાજીના દેશમાં
કાલ્ય જાશું પરદેશ જો...

દાદાને વહાલા દીકરા
અમને દીધા પરદેશ જો...


દાદાને આંગણ આંબલો
આંબલો ઘોર ગંભીર જો...

સંપત હોય તો દેજો દાદા મોરા
હાથ જોડી ઊભા રહેજો...

હાથ જોડી ઊભા રહેજો દાદા મોરા
જીભલડીએ જશ લેજો...

અમે રે લીલુડા વનની ચરકલડી
ઊડી જાશું પરદેશ જો...

Monday, February 20, 2006


મારું ઘર હું શોધું રે,
આ પતિનું ઘર, તે પિતાનું ઘર,
ત્યાં કદાચ પુત્રનું ઘર,
સ્ત્રીનું પોતાનું ઘર ક્યાં?

પારકા ઘરે જવાનું છે,
પતિના ઘરે પારકી,
પારકા ઘરથી આવી,
અંતે દરેક છોકરી સાવકી છે.

-નંદિની મેહતા (Nandini Mehta)

Sunday, February 05, 2006

કયાં છે ?


આં રચના અશોકભાઈનાં બ્લોગ પરથી મેળવી છે. પહેલા જણાવ્યા પ્રમાણે પકૃતિ અને નૈસર્ગિક સૌંદર્યને લગતી રચનાઓ માટે મને વિશેષ માયા છે તેથી જ અશોકભાઈના બ્લોગ પર આ રચના વાંચ્યા બાદ તેને અત્રે રજૂ કરવાની ઈચ્છા રોકી શકયો નથી.


કયાં છે ?
જાંબુડાના ઝાડ ઉપર લટકતો
લીલો લીલો મારો સૂરજ કયાં છે ?
ક્યાં છે મારા ખેતરખૂણાના કૂવામાં
કબૂતરાંની પાંખો ઉપર સૂતેલો
ભોળો ભોળો અંધકાર ?


પ્રભાતપંખીનાં પગલાની લિપિમાં
આળખેલો ડુંગર ફરતો ,
ચકરાતો એ ચીલો કયાં છે ?
કયાં છે મારી પથ્થર વચ્ચે
પાણી લઈને વહેતી
શમણા જેવી નદી ?

વનપરીના નાનકડા ખોબા જેવી
તરંગની આંગળીઓ વચ્ચે
પવન રમાડતી
પેલી મારી તલાવડી કયાં છે ?


કયાં છે મારું ટેકરીઓનું ગામ,
ગામનું ઘર,ઘરની કોઢ,કોઢમાં
અંધારાની કાળી ગાયને દહોતી મારી બા ?
કયાં છે.......


-જયન્ત પાઠક (Jayant Pathak)

Monday, January 30, 2006

પરિક્રમા નર્મદા મૈયાની


વાંચકમિત્રો,

થોડો અવકાશ મળ્યો હોવાથી મારા પ્રિય પુસ્તકોમાનું એક એવુ પુસ્તક ફરી એકી બેઠકે વાંચ્યુ અને એમાં તમોને સહભાગી બનાવવાની ઈચ્છા રોકી ન શક્યો. આ પુસ્તકનું નામ છે "પરિક્રમા નર્મદા મૈયાની"

શ્રી અમૃતલાલ વેગડની કલમે લખાયેલુ અતિ સુંદર પુસ્તક છે, જે પ્રવાસ લેખનમાં એક સુંદર ભાત પાડે છે. હુ માનુ છુ ત્યા સુધી આ પુસ્તકને રાષ્ટ્રિય કક્ષાએ પારિતોષિક પણ મળેલ છે. અત્રે પુસ્તકમાંથી એક નાનો અંશ રજૂ કરી રહયો છું.

----------
સવાર થતા ચાલી નીકળ્યા. ખેતરોમાંથી થતા ત્રીજે પહોરે એક એવા સ્થળે આવી પહોચ્યા કે જ્યા સામે -

ભૂરો ભાસ્યો ઝાંખો, દૂરથી ધુમસે પા'ડ સરખો
નદી વચ્ચે ઊભો, નિરભયપણે એકસરખો.


ઓહો, આ ઓ સુપ્રસિદ્ધ કબીર વડ !

ઠરી મારી આંખો, કબીર વડ તુંને નીરખીને.

પણ અમે ત્યાં જઈએ કે ન જઈએ ? પરીક્રમાનાં નિયમો અનુસાર અમે નર્મદાની ધારા ઓળંગી ન શકીએ, ટાપુ પર ન જઈ શકીએ. પરંતુ જે કબીરવડ વિષે બચપણમાં વાંચેલી કવિતાનું આજેય ઝાંખુ સ્મરણ છે, જેને જોવાની વર્ષોની ઉસ્તુકતા રહી છે, શું એને જોયા વિના જ ચાલ્યા જઈશું ? અહિં ફરી ક્યારે અવાશે ? વળી આ બાજુનો પ્રવાહ પણ તો સાવ છીછરો જ છે !


(પરિક્રમા નર્મદા મૈયાની - અમૃતલાલ વેગડ)
-------------

વાંચકમિત્રો જો તમારામાંથી કોઈને કબીરવડ વિશે જણાવેલ કવિતા પૂર્ણ સ્વરૂપે મળી આવે તો મને મોકલી આપવા વિનંતી છે. તમે મને sidshah70@gmail.com પર ઈ મેઈલ કરી શકો છો.

સિદ્ધાર્થ શાહ


Monday, January 23, 2006

ગુજારે જે શિરે તારે

વાચકમિત્રો, આજે જ એક ધર્મસ્થાનની મુલાકાત લીધા બાદ બ્લોગ અપડેટ કરી રહ્યો છું તેથી આ સુંદર પ્રાર્થના રજૂ કરી રહ્યો છું, આશા રાખુ કે તમોને ગમશે.



ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સ્હેજે;
ગણ્યું જે પ્યારું પ્યારાએ, અતિ પ્યારું ગણી લેજે.

દુનિયાની જુઠી વાણી, વિશે જો દુ:ખ વાસે છે;
જરાયે અંતરે આનંદ, ના ઓછો થવા દેજે.

કચેરી માંહિ કાજીનો, નથી હિસાબ કોડીનો;
જગત કાજી બનીને તું, વહોરી ના પીડા લેજે.

જગતના કાચના યંત્રે, ખરી વસ્તુ નહીં ભાસ;
ન સારા કે નઠારાની, જરાએ સંગતે રહેજે.

રહેજે શાંતિ સંતોષે, સદાયે નિર્મળે ચિત્તે;
દિલે જે દુ:ખ કે આનંદ, કોઇને નહીં કહેજે.

વસે છે ક્રોધ વેરી, ચિત્તમાં તેને તજી દેજે;
ધડી જાએ ભલાઇની, મહાલક્ષ્મી ગણી લેજે.

રહે ઉન્મત્ત સ્વાનંદે, ખરૂં એ સુખ માની લે;
પિયે તો શ્રી પ્રભુના, પ્રેમનો પ્યાલો ભરી પીજે.

કટુ વાણી સુણે જો કોઇની, વાણી મીઠી કહેજે;
પરાઇ મૂર્ખતા કાજે, મુખે ના ઝેર તું લેજે.

અરે પ્રારબ્ધ તો ઘેલું, રહે છે દૂર માગે તો;
ન માગે દોડતું આવે, ન વિશ્વાસે કદી રહેજે.

અહો શું પ્રેમમાં રાચે, નહીં ત્યાં સત્ય પામે તું !
અરે તું બેવફાઇથી ચડે નિંદા તણે નેજે.

લહે છે સત્ય જે, સંસાર તેનાથી પરો રહેજે;
અરે એ કીમિયાની જો મઝા છે, તે પછી કહેજે.

વફાઇ તો નથી, આખી દુનિયામાં જરા દીઠી;
વફાદારી બતાવા ત્યાં, નહીં કોઇ પળે જાજે.

રહી નિર્મોહિ શાંતિથી, રહે એ સુખ મોટું છે;
જગત બાજીગરીના તું, બધાં છલબલ જવા દેજે.

પ્રભુના નામનાં પુષ્પો, પરોવી કાવ્યમાળા તું;
પ્રભુની પ્યારી ગ્રીવામાં, પહેરાવી પ્રિતે દેજે.

કવિ રાજા થયો શી છે, પછી પીડા તને કાંઇ?
નિજાનંદે હંમેશા બાલ, મસ્તીમાં મઝા લેજે.

- બાલશંકર કંથારિયા (Balshankar Kantharia)

Sunday, January 15, 2006

ખેડૂતની સેવા


આ સુંદર કાવ્ય શ્રી યોગેશ્વરજીના કાવ્યસંગ્રહ 'દ્યુતિ' માંથી લેવામાં આવ્યુ છે. તેમના સત્સંગીઓએ બનાવેલી અતિસુંદર વેબસાઈટ ગુજરાતી વેબજગતમાં અનેરી ભાત પાડે છે. આ વેબસાઈટની મુલાકાત ખરેખર લેવા જેવી છે. આ વેબસાઈટ પર તમને મહાભારત, રામાયણ, ગીતાસાર ગુજરાતીમાં વાંચવા મળશે.

વેબએડ્રેસ http://www.swargarohan.org

ખેડૂતની સેવા

એક તાત છે દુનિયા કેરો, બીજો તાત મનુષ્ય કહ્યો;
તે મનુષ્ય ખેડૂત ગણાયે, જેણે તડકો ખૂબ સહ્યો.

ટાઢતાપ વેઠીને જેણે પરિશ્રમ સદા ઘોર કર્યો;
પાક એહનો આખા જગને, એણે હસતાં સર્વ ધર્યો.

રાતદિવસ ના જોયાં એણે, જોયાં સુખ કે દુઃખ નહીં;
જીવન આખું સેવા કરતાં, ધરતી કેરું ગયું વહી.

વરસાદ ભલે વરસે તો પણ, હિંમત ના હારે કો'દિ;
પવનતણા સુસવાટા માંયે, જાય ખેતરોમાં દોડી.

બળદ એહના સાથી સાચા, એ એની જીવાદોરી;
અનાજ પકવે એની મદદે, આળસની કરતાં હોળી.

સેવા લે સઘળાયે એની, જીવન એ સૌને આપે;
કેમ ગમે આપણને, જો એ દુઃખમહીં દિવસો કાપે?

કંગાળ જ જો હોય એ, વળી અક્ષરજ્ઞાન રહિત હોયે;
શરમ ગણાયે દેશતણી તો, દેવાદાર બને તોયે.

માટે એની સેવા માટે, તૈયારી સઘળીય કરો;
એની સેવા લઈ એહને, જીવનની રસલ્હાણ ધરો.

-શ્રી યોગેશ્વરજીના કાવ્યસંગ્રહ 'દ્યુતિ' માંથી

Saturday, January 07, 2006

વાયુને હંફાવવા બળ ના કરે

વાયુને હંફાવવા બળ ના કરે
એ સુંગધ છે,કદી છળ ના કરે

પુષ્પ પર ડાઘો પડે એ બીકથી
જીવવાને જિદ ઝાકળ ના કરે

સ્વપ્નને સંકેલવાને બાબતે
ઊંઘતો માણસ ઉતાવળ ના કરે

ખૂબ ઘેરી ને ગહન છે લાગણી
એ ઝરણની જેમ ખળખળ ના કરે

ક્રોધ તો કરતો નથી ઈર્શાદ પણ
ના ગમે તો વાત આગળ ના કરે


-ચિનુ મોદી 'ઈર્શાદ' (Chinu Modi)

Friday, January 06, 2006

ધારાવસ્ત્ર

વાંચકમિત્રોને કદાચ આટલા સમય દરમ્યાન અંદાજ આવ્યો હશે કે આ બ્લોગ પર વધારે પડતી કવિતાઓ કુદરતની રમણિયતાને અનુલક્ષીને પ્રસ્તૂત કરેલ છે. એવી જ એક આ કવિતા છે. આ કાવ્યમાં વરસતા વરસાદના દશ્યાનુભવને કવિએ પ્રત્યક્ષવત કરી આપ્યો છે.


કોઈ ઝપાટાભેર ચાલ્યું જાય
કયાંથી, અચાનક....
સૂર્ય પણ જાણે
ક્ષણ હડસેલાઈ જાય
ધડાક બારણાં ભિડાય.

આકાશમાં ફરફરતું ધારાવસ્ત્ર
સૃષ્ટિને લેતું ઝપટમાં
ઓ...પણે લહેરાય.
પૃથ્વી રોપ્યાં વૃક્ષ એને ઝાલવા
મથ્યાં કરે - વ્યર્થ હાથ વીંઝ્યા કરે...

-ઉમાશંકર જોશી (Umashankar Joshi)

Tuesday, January 03, 2006

ભોમિયા વિના

વાંચકમિત્રો,

સૌ પ્રથમ તો નૂતન વર્ષાભિનંદન 2006 માટે,

ઘણા લાંબા સમયના વિરામ બાદ આજે નવા વર્ષનો પ્રારંભ શ્રી ઉમાશંકર જોષીની આ સુંદર કવિતાથી કરૂ છું, આશા રાખુ કે બધાને જરૂરથી પસંદ પડશે. આ લાંબો વિરામ વ્યવસાયિક અને શૈક્ષણિક વ્યસ્તતાનાં લીધે હતો, આ સમય દરમ્યાન પણ તમારી સુંદર ઈ-મેઈલ્સ મળતી રહેતી હતી જે ખૂબ જ આનંદની વાત છે.


ભોમિયા વિના

ભોમિયા વિના મારે ભમવા'તા ડુંગરા,
જંગલની કુંજકુંજ જોવી હતી;
જોવાં'તાં કોતરો ને જોવી'તી કંદરા,
રોતાં ઝરણાંની આંખ લ્હોવી હતી.

સૂના સરવરિયાની સોનેરી પાળે,
હંસોની હાર મારે ગણવી હતી;
ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે,
અંતરની વેદના વણવી હતી.

એકલા આકાશ તળે ઊભીને એકલો,
પડઘા ઉરબોલના ઝીલવા ગયો;
વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં,
એકલો, અટૂલો ઝાંખો પડ્યો.

આખો અવતાર મારે ભમવા ડુંગરિયા,
જંગલની કુંજકુંજ જોવી ફરી;
ભોમિયા ભૂલે એવી ભમવી રે કંદરા,
અંતરની આંખડી લ્હોવી જરી.

- ઉમાશંકર જોષી (Umashankar Joshi)